અમદાવાદ શહેરમાં હજુ પણ નવા પાસપોર્ટ કઢાવવા કે રિન્યૂ પાસપોર્ટ માટે નોર્મલ કેસમાં દોઢ મહિને એપોઇન્ટમેન્ટ મળી રહી છે.એટલે અંદાજે એટલો સમય લાગતો હોય છે. પાસપોર્ટની અરજીઓનો બેકલોગ વધી રહ્યો હોવાથી વિદેશ ફરવા કે અભ્યાસ માટે જનાર લોકો ખુબ જ હેરાન થઇ રહ્યા છે. પાસપોર્ટની મંદ ગતિએ ચાલતી પ્રક્રિયા સામે વિદેશ મંત્રાલય સુધી ફરિયાદો પહોંચી હતી.આ જ કારણોસર અરજીઓનો બેકલોગ ઘટાડવા હેતુસર ત્રણ શનિવાર પાસપોર્ટ સર્વિસ સેન્ટર ખુલ્લા રાખી પેન્ડિંગ 9000 અને બીજા ત્રણ હજાર મળી કુલ 12000 એપોઇન્ટમેન્ટ રિલીઝ કરાશે. જો કે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે જો આ કામગીરી વેકેશનમાં શરૂ કરવામાં આવી હોત તો અત્યાર સુધીમાં હજારો અરજદારોને સમયસર પાસપોર્ટ મળી જાત.અને આટલો બધો લોડ ના આવ્યો હોત.
અમદાવાદના મીઠાખળી, વિજય ચાર રસ્તા, વડોદરા, રાજકોટ એમ 4 પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે) માં ત્રણ હજાર અને ગુજરાત રાજ્યના 21 પીઓપીએસકેમાં 1100 એપોઇન્ટમેન્ટ રિલીઝ કરાશે. જે અરજદારોએ નોર્મલ કેસમાં એક મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળી છે તેઓ પોતાની એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શનિવારે કરી શકશે. અરજદારોને રાહત ફક્ત એટલી મળી છે કે, તત્કાલ પાસપોર્ટની એપોઇન્ટમેન્ટમાં જે 15 દિવસનો વેઇટીંગ પિરિયડ હતો તે ઘટી બીજા દિવસની તારીખ મળી રહી છે.