અમદાવાદમાં ગઈકાલની રાત કાળમુખી સાબિત થઇ, અકસ્માતમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાતે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 2 પોલીસકર્મી સહીત કુલ 9 લોકોના મોત નિપજ્યા હતા.

by ND
Tathya Patel killed 9 people, News Inside

Ahmedabad Accident| અમદાવાદવાસીઓ માટે ગુરુવારની સવાર ભયાનક અને કરુણ સમાચાર સાથે થઇ છે. બુધવારની રાત ઘણા પરિવારો માટે ગોજારી સાબિત થઇ છે. શહેરીજનો જયારે ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા તે જ સમયે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા ઇસ્કોન બ્રિજ પાસે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. જેમાં અભ્યાસ ખાતર બહારથી આવેલા કેટલાક યુવકોનું ગમગીની ભર્યું મરયત્ય નીપજ્યું હતું. અક્સ્માત એટલો ભયાનક હતો કે લાશથી 200 મીટર સુધીનો રસ્તો પથરાઈ ગયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળેજ હૃદય કંપાવી દેતી હાલતમાં મોત થયા હતા. આ અકસ્માતમાં 1 ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ તથા 1 હોમગાર્ડ સહીત અન્ય 7 લોકોના મોટ નિપજ્યા છે.

ઇસ્કોન બ્રિજ પાસે ગત રાતે એક ડમ્પર અને થાર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તે જોવા અને અકસ્માતમાં ઇજા પામેલા લોકોની મદદ કરવા કેટલાક લોકોનું ટોળું ભેગું થયું હતું. તે જ સમયે રાજપથ ક્લબ તરફથી પૂર ઝડપે આવી રહેલી જેગુઆર કાર આ ટોળા પર ફરી વળી હતી. સ્થળ પર હાજર લોકોના કહેવા પ્રમાણે આ કારની ઝડપ 160થી 170 કિમી પ્રતિ કલાકની હતી. અકસ્માત સમયે ફિલ્મી ઢબે લોકો 20થી 30 ફૂટ સુધી ફંગોળાયા હતા. આ જેગુઆર કાર ચાલાક ગોતામાં કુખ્યાત છબી ધરાવતા બાપનો નબીરો હોવાની માહિત સામે આવી છે. ગોતાના તથ્ય પટેલ દ્વારા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને નજરે જોનાર લોકો મુજબ આ અકસ્માત કરતા હત્યા જેવી ઘટના વધારે લગતી હતી. આ લાશનો ઢગલો કરનાર તથ્ય પટેલ હાલમાં સિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

અકસ્માતમાં ઇજા પામેલા લોકોને સોલા સિવિલ, અસારવા સિવિલ તથા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિવાર જનોના આક્રંદને કારણે ગમગીની છવાઈ ગઈ છે. મૃતક યુવાનો મૂળ બોટાદ અને સુરેન્દ્રનગરના છે અને તેઓ અહીં અમદાવાદમાં અભ્યાસ અર્થે પીજીમાં રહેતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અકસ્માતના દ્રશ્યો એટલા ગંભીર હતા કે તેને નજરે જોનારા એક વ્યક્તિ સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા છે, તથા અન્ય 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની યાદી
1. નિલેશ મોહનભાઇ ખટીક (ઉં.વ. 38, હોમગાર્ડ)
2. ધર્મેન્દ્રસિંહ નારસંગભાઇ પરમાર (ઉં.વ. 40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
3. નીરવ રામાનુજ (ઉં.વ. 22, ચાંદલોડિયા)
4. અમન અમીરભાઈ કચ્છી (ઉં.વ. 25, સુરેન્દ્રનગર)
5. અરમાન અનિલભાઈ વાઢવાણિયા (ઉં.વ. 21, સુરેન્દ્રનગર)
6. રોનક રાજેશભાઈ વિહલપરા (ઉં.વ. 23, બોટાદ)
7. અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ. 21, બોટાદ)
8. કુણાલ નટુભાઈ કોડિયા (ઉં.વ. 23, બોટાદ)
9. જસવંતસિંહ ચૌહાણ

મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને દુઃખ વક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ટ્વિટમાં સહાયની પણ જાહેરાત કરી છે. જેમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને રૂ.4 લાખની તથા ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે.

સહાય બાબતે શું કહ્યું પરિવારજનોએ?
મૃતકના પરિવારજનોને સહાયની જાણ થતા તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી કે, “અમને 4 લાખ નહિ અમારા સ્વજન પાછા આપો અને બદલામાં અમે સરકારને 8 લાખ આપીશુ. પૈસાની કોઈ તંગી નથી.” જયારે અન્ય એક મૃતકના પિતાએ ડોક્ટરને સતત આજીજી કરી હતી કે, “મારા દીકરાને વેન્ટિલેટર પર રાખો તે પાછો આવશે.” આમ ગત રાતથી સોલા સિવિલ પરિસર મૃતકના પરિવારજનોના આક્રંદ અને ચિચિયારીઓથી ગુંજી રહ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ મૃતકના પરિવારજનોને મળીને આરોપીને સજા અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. તેમણે મૃતક પોલીસ જવાનોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પોલીસ અધિકારીઓ સાથે કરી ચર્ચા
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેવાકે, કમિશ્નર, જેસીપી, 3 ડીસિપી તથા આરટીઓ ઓફિસર સાથે મિટિંગ યોજીને ચર્ચા કરી હતી. જે બાદ તેમણે જણાવ્યું હતું કે, આ ગુનામાં તથ્ય પટેલ અને તેના કુખ્યાત પિતા પ્રજ્ઞેશ પટેલ સહીત જે પણ લોકો કારમાં સવાર હતા તે તમામની ધરપકડ કરવામાં આવશે. આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં રજુ કરવામાં આવશે. તથા એક અઠવાડિયાની અંદર ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે. આ ગુન્હા મામલે આરોપીને કડકમાં કડક સજા થશે તેમ હર્ષ સંઘવીએ આશ્વાસન આપ્યું હતું.

Related Posts