Gujarat Police| આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને શોર્ટ વીડિયો કે રીલ્સ બનાવવા ખુબ ગમતા હોય છે. પરંતુ પોલીસ કર્મચારીઓએ આ મામલે સાવધ રહેવું પડે છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતાને લગતી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. આમ છતાં, ઘણા પોલીસ અધિકારીઓ સહિતના પોલીસકર્મી સોશિયલ મીડિયામાં વર્ધી પહેરીને રિલ્સ બનાવી રહ્યા છે. ત્યારે આવા જ રિલ્સના શોખીનો સામે પોલીસ તંત્ર દ્વારા સપાટો બોલાવાયો છે. જેમાં ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે પગલા લેવા માટે આદેશ કરાયો છે.
રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર એક્ટિવ પોલીસ કર્મચારીઓ સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતા જાહેર કરાયા બાદ પણ પોલીસની વર્ધીમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવનાર સામે પગલા ભરવા આદેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કુલ 17 પોલીસ કર્મચારી સામે પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે. હવે આ 4 પીએસઆઇ અને 13 પોલીસ કર્મચારીઓ સામે આચારસંહિતાનું પાલન ન કરવા બાબતે પગલાં ભરવામાં આવશે.
પોલીસ વડાના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ગુજરાત પોલીસના સભ્યો માટે સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતા 2023 બહાર પાડવામાં આવેલી હતી. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કે કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતાનો અમલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આમ છતાં સોશિયલ મીડિયાના ઉપયોગ બાબત આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો ન હતો.
એમ પણ કહેવામાં આવ્યું છે કે, આચારસંહિતા બહાર પાડી હોવા છતાં પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત ગાઈડલાઈન્સ વિરુદ્ધ ફરજ પર તથા ફરજ સિવાયના સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયા પર રીલ્સ/વીડિયો બનાવીને તેને અલગ અલગ સોશિયલ મીડિયાની એપ્લિકેશન પર પોસ્ટ કરવામાં આવે છે. તેમજ પોતાના ખાનગી વાહનોમાં POLICE લખેલી નેમપ્લેટ સાથેનો વીડિયો/રીલ્સ પોસ્ટ કરે છે.
પોલીસ કર્મચારીઓ માટે શું છે ગાઈડલાઈન્સ?
ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર કરવામાં આવી છે. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. કેટલાક જવાનો નિયમોનું પાલન કરતાં હોવાનું સામે આવ્યું છે. કેટલાક જવાનો રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરે છે. ફરજ પર અથવા ફરજ પછી વીડિયો બનાવીને અપલોડ કરે છે. જેના કારણે પોલીસકર્મીઓ માટે પોલિસી જાહેર કરાઈ છે. જો સોશિયલ મીડિયા આચારસંહિતા ભંગ થશે તો કાર્યવાહી કરાશે.
રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ વર્ધી પહેરીને રિલ્સ, વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ છે. તથા પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. તેમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરી શકશે નહી. હવેથી વર્ધી પહેરીને વીડિયો, રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ દરેક પોલીસકર્મીએ નિયમોનું પાલન કરવાનું રહેશે. તથા પોલીસ અધિકારી કે કર્મચારી પર નિવેદન ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.
જાણો શું છે નવા નિયમો
અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરાયા છે. રાજ્ય પોલીસના અધિકારી-કર્મચારીઓ માટે પોલિસી જાહેર કરવામાં આવી છે. તેમાં વર્ધી પહેરીને રીલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં. કારણ કે તાજેતરમાં પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયોનો બેફામ ઉપયોગ કરતા હતા. તેથી નવી આચારસંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે.