Aastha Special Train: અમદાવાદથી અયોધ્યા ધામ માટે પહેલી ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’ શરુ થઇ

CMએ લીલીઝંડી આપી 1400 શ્રદ્ધાળુને પ્રસ્થાન કરાવ્યું

by Bansari Bhavsar

Bansari Bhavsar Ahmedabad

અમદાવાદ : અમદાવાદ સાબરમતીથી અયોધ્યા ધામ માટે પહેલી ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’ ને ગુજરાનના CM ભેપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી આપી શરુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને બુધવારે રાત્રે 10 વાગ્યે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરનાં દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે એ હેતુથી અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે રેલવે સ્ટેશન પર પહેલા શ્રીફળ વધેર્યું, પછી ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા આપી
અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના 1400 જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામલલ્લાનાં દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશિયલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતાં પહેલાં મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી.

શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાનાં દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

10 જાન્યુઆરીથી અયોધ્યાની પહેલી ફ્લાઇટ શરૂ થઈ
આ પહેલાં 10 જાન્યુઆરીથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરી છે, જે 2 કલાક 10 મિનિટ જેટલો સમય લઈને અમદાવાદથી અયોધ્યા પહોંચી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં ‘જય જય શ્રીરામ’ નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોનું અભિવાદન ઝીલ્યું હતું. પહેલી ફલાઇટમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત 148 મુસાફર અયોધ્યા પહોંચ્યા હતા.

સાધુ-સંતો પણ પહેલી ફ્લાઇટમાં અયોધ્યા પહોંચ્યા હતા
પહેલી ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર ભક્તિનો માહોલ જામ્યો હતો. એરપોર્ટની અંદર ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવ્યા હતા. 148 પેસેન્જર સાથે અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચી હતી. આ ફ્લાઇટમાં સાધુ-સંતો ઉપરાંત રામભક્તોએ અયોધ્યા સુધીની મુસાફરી કરી હતી.

 

Related Posts