માંડલના અંધાપાકાંડના પડઘા હાઇકોર્ટમાં પડયા છે. રાધનપુરમાં પણ મોતિયાના ઓપરેશન પછી દર્દીઓને દ્રષ્ટિની સમસ્યા થઈ છે. રાધનપુરની નાથાલાલ વખારિયા સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પછી 7 જેટલા દર્દીઓને આંખે ઝાંખપ આવી હોવાની ફરિયાદ થઈ છે.
આ 7 દર્દીમાંથી 5ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર 5 દર્દીઓમાં 2 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ પૈકી એક દર્દીની ઉંમર 45 જ્યારે અન્ય 4 દર્દીની ઉંમર 60થી વધારે છે. રાહતની વાત એ છે કે તેઓએ હજુ સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી નથી. હાલમાં તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર છે.
રાધનપુર સર્વોદય હોસ્પિટલની ઘટનાની જાણ પાટણ જિલ્લા આરોગ્યતંત્રને થતા આરોગ્ય તંત્રની ટીમ પણ દોડતી થઈ હતી. ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રીતિ સોનીના વડપણ હેઠળ પાટણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ ઘટનાની તપાસ કરાઈ રહી છે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી.