અમદાવાદમાં માતાના મૃત્યુ બાદ બે ભાઈઓ વચ્ચે સંપતિને લઈ ડખ્ખાનો કેસ સામે આવ્યો છે. જેમાં માતાના મોતના બીજા દિવસે બે ભાઈઓ વચ્ચે પ્રોપર્ટી મામલે થયેલી બોલાચાલીએ એટલું ઉગ્ર રૂપ ધારણ કર્યું કે, વાત ફાયરિંગ સુધી પહોચી ગઇ હતી. નાનો ભાઈ તેના ઘરે જઈને રીવોલવર લઈને પત્ની સાથે આવ્યો હતો અને માતાના ઘરની બહાર હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. મોટા ભાઈ અને ભત્રીજાને મારવાના ઇરાદે નાનો ભાઈ હથિયાર લઈને આવ્યો હતો. મોટો ભાઈ પરિવાર સાથે તેના ઘરે જતો રહ્યો હોવાથી મામલો શાંત પડ્યો હતો. ઘરની બહાર જ ફાયરિંગ કરતા આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જે મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણો સમગ્ર મામલો
ગોતા વિસ્તારમાં આવેલા સત્યમેવ વિસ્તામાં રહેતા પ્રદીપસિંહ ઠાકુરે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં પોતાના મામા પ્રવેન્દ્ર માહુર અને તેની પત્નિ ભાવના માહુર વિરૂદ્ધ મારમારી તેમજ ફાયરીંગની ફરિયાદ કરી છે. પ્રદીપસિંહના 3 મામા છે. જેમાં એક ગજેન્દ્રસિંહ અત્તરસિંહ માહુર, બીજા પ્રવેન્દ્ર અત્તસિંહ માહુર અને ત્રીજા અજેન્દ્ર સિંહ માહુર. 7 ફેબ્રુઆરીના રોજ પ્રદિપસિંહના નાની શિવદેવીનું જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે અવસાન થયુ હતું. શિવદેવી અજેન્દ્ર સિંહ સાથે નારણપુરા ટેલીફોન એક્ષચેન્જની બાજુમાં આવેલા અમી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. અંતિમ વિધી માટે પ્રદિપસિંહ તેની માતા તારાબેન, મામા ગજેન્દ્રસિંહ, પ્રવેન્દ્ર સહિતના સગાવ્હાલા આવ્યા હતા.
અંતિમ વિધિ પૂરી થયા બાદ પરિવારના તમામ સભ્યો અજેન્દ્રસિંહના ઘરમાં રોકાયા હતા. બીજા દિવસે સવારે પ્રદિપસિંહ નાનીના ઘરે આવી ગયો હતો જ્યાં ગજેન્દ્રસિંહ તેમજ તેમનો દીકરો સંસ્કાર તેમજ પ્રવેન્દ્ર અને બીજા સંબંધીઓ હાજર હતા. આખો દિવસ ઘરમાં રોકાયા બાદ ઘરના તમામ સભ્યોએ શિવદેવીના તેરમાના પ્રસંગ અંતેની વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન શિવદેવીની પ્રોપર્ટીની પ્રોપર્ટી મામલે ગજેન્દ્રસિંહ અને પ્રવેન્દ્ર વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. સમાજના આગેવાનોએ બન્ને વચ્ચેનો ઝઘડો શાંત કરાવતા તે પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. આ સમયે શિવદેવીના ઘરમાં પ્રદિપસિંહ, માતા તારાબેન, શિવદેવીના દિયર મહેન્દ્રસિંહ, મહાવીરાબેન, અજેન્દ્રસિંહ, ચંદ્રવતીબેન, સહિતના લોકો હાજર હતા, ત્યારે મોડીરાતે પ્રવેન્દ્ર તેની પત્ની ભાવનાને લઈને આવી પહોંચ્યા હતો. પ્રવેન્દ્રએ આવતાની સાથે જ ઘરનો દરવાજો જોરથી ખખડાવતા જેમ ફાવે તેમ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી.
લાઇસન્સ વાળી રિવોલ્વરથી હવા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
ઘરના તમામ સભ્યો ગભરાઇ ગયા હતા. જેથી પ્રવેન્દ્ર અને ભાવના ઘરમાં આવીને વધુ બબાલ ના કરે તે માટે કોઇએ દરવાજો ખોલ્યો નહી. દરવાજો નહીં ખોલતા પ્રવેન્દ્ર વધુ ઉશ્કેરાયા હતા અને પોતાની પાસે રહેલી રીવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ કરતાની સાથે પ્રવેન્દ્રએ જોરજોરથી બૂમો પાડીને ધમકી આપી હતી કે, દરવાજો ખોલો આજે તો ગજેન્દ્ર અને સંસ્કારને જાનથી મારી નાખવાના છે. આ દરમિયાનમાં પ્રવેન્દ્ર ઘાબા પર જતો રહ્યો હતો અને કૂદકો મારીને શિવદેવીના ઘરની બાલ્કીમાં આવી ગયો હતો. મહેન્દ્રસિંહે શાંતીથી દરવાજો ખોલીને પ્રવેન્દ્રને કહ્યું હતું કે, ગજેન્દ્રસિંહ અહીંયા નથી તે તેના ઘરે જતો રહ્યો છે.
પ્રવેન્દ્રને ઘરમાં લાવીને ઘરમાં સભ્યોએ તેની પાસે રહેલી રીવોલવર લઇ લીધી હતી અને આ દરમિયાનમાં ભાવનાએ બુમાબુમ કરતા ઘરના સભ્યોએ મકાનનો દરવાજો ખોલીને અંદર આવી ગયા હતા. ભાવના ઘરમાં આવતાની સાથે જ પ્રદિપસિંહ અને તારાબેનને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તે પોતાના ઘરે આવી ગયા હતા. તારાબેને ઘરમાં પહોંચતાની સાથે જ તેના ભાઈ ગજેન્દ્રસિંહને આખી હકીકત કહી હતી. જેથી પ્રદિપસિંહ ગભરાઇ ગયા હતા. માતાના મોતના બીજા દિવસે પ્રોપર્ટી મામલે ભાઇએ ભાઇનું ઢીમ ઢાળવા માટે રીવોલવર લઇને આવતા ભારે ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ પ્રદિપસિંહ પોલીસની કરી હતી. ઘાટલોડીયા પોલીસે આ મામલે પ્રવેન્દ્ર અને ભાવના વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.