News Inside :
અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ગઈકાલે ST બસની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આ ચોરી કરાયેલી એસટી બસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. નરોડા પોલીસે એસટી બસ સાથે આરોપી તુષાર ભટ્ટને દેહગામના કનીપુર પાસેથી ઝડપી પાડ્યો છે. નશાની હાલતમાં આરોપી તુષાર ભટ્ટે સરકારી બસની ચોરી કરી હતી.
દેહગામ પાસે એસટી બસનું લોકેશન મળ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 15 જાન્યુઆરીએ અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી બસ ચોરી થઈ ગઇ હતી. સરકારી એસટી બસની ચોરી ડેપો મેનેજરના ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે એસટી બસ અંગે તમામ વિગતો મેળવી કાયદેસરની ફરિયાદ નોંધી હતી. પોલીસે અલગ અલગ ટીમો તપાસ માટે કામે લગાવી તેમજ સીસીટીવી અને ચોક્કસ માહિતી મળતા એસટી બસનું દેહગામ પાસે લોકેશન મળ્યું હતું.
પોલીસે આરોપી તુષાર ભટ્ટને ઝડપી પાડ્યો
કનીપુર પાસે એસટી બસ રોડ ઉપર પડી હતી અને આ બસ લઇ જનાર આરોપી ચાલક પણ ત્યાંથી મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તુષાર ભટ્ટ અમદાવાદનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલો આરોપી તુષાર ભટ્ટ અગાઉ કોન્ટ્રાક્ટ ઉપર એસટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.
ચોરીનું કારણ હજી સુધી જાણવા ન મળ્યું
પરંતુ છેલ્લા ઘણા સમયથી બેકાર હતો અને માનસિક અસ્વસ્થ હાલતમાં પોલીસને મળી આવ્યો હતો. બાદમાં બસ સાથે તેને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે, આરોપી તુષાર ભટ્ટ જ્યારે એસટી ડેપો પાસે ગયો ત્યારે એસટી બસમાં ચાવી લાગેલી હતી. જે આધારે તે બસ લઇને નીકળી પડ્યો હતો. ચોરી કરવાનું કારણ શું હતું તે હજી સુધી જાણવા મળ્યું નથી. બસ કેમ ચોરી કરી તેની પોલીસે તપાસ શરૂ કરી છે.