ભારતની ધડાધડ 3 વિકેટ પડતા ફેન્સ શોકમાં, રોહિત, જયસ્વાલ અને પાટીદાર આઉટ

by ND
INDIA VS ENGLAND RANCHI TEST: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ 192 રનના જવાબમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 40 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે 152 રનની જરૂર હતી. જે ભારતીય ટીમ આસાનીથી કરી લેશે એવું લાગી રહ્યું હતું રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ચોથા દિવસે ભારતની ઇનિંગની શરૂઆત કરવા આવ્યા હતા અને બંને સારા ટચમાં જણાઈ રહ્યા હતા.
કેપ્ટન રોહિત શર્માએ જેમ્સ એન્ડરસન સામે શાનદાર છગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાના સ્કોરને 50 રનથી આગળ લઈ ગયો હતો. રોહિતની આ તોફાની સ્ટાઈલ જોઈને બેન સ્ટોક્સની હાલત ખરાબ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ટેસ્ટમાં રોહિતની આ 17મી અડધી સદી હતી.પરંતુ ત્યાર બાદ ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો. સિનિયર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને જો રૂટના બોલ પર યશસ્વીનો શાનદાર કેચ લીધો હતો. યશસ્વી 44 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો.

બીજી વિકેટનાં સ્વરૂપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત ટોમ હાર્ટલીને ફટકારીને સ્ટમ્પ આઉટ થયો હતો. રોહિતે 81 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી. રોહિતના રૂપમાં ટીમ ઈન્ડિયાને આ બીજો ઝટકો લાગ્યો હતો. આ પહેલા તેણે યશસ્વી જયસ્વાલ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી.

રોહિત શર્માને આઉટ કર્યા બાદ ઈંગ્લેન્ડે રજત પાટીદારની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો આપ્યો હતો આ રીતે ઈંગ્લેન્ડે રમતના પ્રથમ સત્રમાં જોરદાર વાપસી કરી હતી. ભારતીય ક્રિકેટ ફેન્સ એક સમય માટે ચિંતામાં મુકાઇ ગયા હતા.

Related Posts