નવી દિલ્હી તા.1 આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં હવે ઝડપ લાવી છે અને ગમે તે સમયે જાહેર થનારી પક્ષની પ્રથમ યાદીમાં 155 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરાય તેવી શકયતા છે. સૂત્રોના મુજબ પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં અને ગૃહમંત્રી અમીત શાહ ગાંધીનગર તેમજ રક્ષામંત્રી રાજનાથસિંઘ લખનઉ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠી, ધરમેન્દ્ર પ્રધાન ઓડીસાના સંબલપુર, જયોતીરાદીત્ય સિંધીયા ગ્યાલિયર અથવા ગુના લોકસભા બેઠક ઉપરાંત મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને ભોપાલ અથવા વિદીશાની ટિકીટ અપાઈ શકે છે.
આમ ભોપાલની ટિકીટ અપાઈ તો છેલ્લા પાંચ વર્ષમાં વિવાદમાં ફસાયેલા સાધ્વી પ્રજ્ઞાને હવે ભાજપ પડતા મુકશે તેવા સંકેત છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ હરિયાણાના ભીવાની વલ્લભગઢ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓને પણ મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આસામના પુર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનવાલને ભાજપ દીબ્રુગઢથી ટિકીટ આપી શકે છે. પક્ષે તેની પ્રથમ યાદીમાં ધુરંધરોના નામ નિશ્ર્ચિત કર્યા હોવાનું માનવામાં આવે છે
જેથી ચુંટણીનો ટેમ્પો બની રહે. ગઈકાલે રાત્રે અગીયાર વાગ્યે બેઠક ચાલુ થઈ હતી અને સવારે 3.30 સુધી ચાલી રહી હતી જેમાં આ નામો અંગે નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
રાજકોટ લોકસભા બેઠક પર પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ પણ ચર્ચામાં: મનસુખભાઈ માંડવીયાને ભાવનગર બેઠક જ ફાળવાય તેવી શકયતા
રાજકોટ તા.1
આગામી લોકસભા ચૂંટણી માટે ગુજરાતના નામોની યાદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠનમંત્રી રત્નાકર ઉપરાંત કોર કમીટીના સભ્યો પણ ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા અને માનવામાં આવે છે કે રાજયની 8થી10 બેઠકો માટે પક્ષે નામોની પસંદગી કરી લીધી છે જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ફરી નવસારીથી અને જામનગરમાં પુનમબેન માડમને રિપીટ કરી શકે છે જયારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને ભાવનગરની ટિકીટ ફાઈનલ મનાઈ છે.
તેઓ અગાઉ પાલીતાણાના ધારાસભ્ય હતા તેથી આ વિસ્તારમાં તેઓ જાણીતા છે પરંતુ ભાવનગર લોકસભા બેઠકમાં પાટીદાર અગ્રણીને લડાવવાનું ભાજપ સાહસ કરીને રસપ્રદ સ્થિતિ સર્જશે તેમ મનાય છે. સૌથી મહત્વપૂર્ણ રીતે રાજકોટની લોકસભા બેઠક પર ભાજપ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ટિકીટ આપી શકે છે.
એક વખત રાજયસભાના સભ્ય રહી ચૂકેલા અને રાજકોટ 69 લોકસભા બેઠકનું બે ચુંટણીમાં પ્રતિનિધિ કરી ચૂકયા છે. સામાન્ય રીતે કડવા પાટીદાર માટે ફેવરીટ ગણાતી આ બેઠક પર જૈન સમુદાયના શ્રી રૂપાણીને લડાવીને ભાજપ રાજકોટના મતો પર વધુ જોર મુકશે તે પણ શકય બની શકે છે.