રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધનો મધપૂડો છંછેડાયો છે. રૂપાલા ક્ષત્રિય સમાજની માફી માગી ચૂક્યા છે પણ આ વિવાદ શમવાનું નામ લેતો નથી. ત્યારે ભાજપને હવે જૂના જોગી યાદ આવ્યા અને ગાંધીનગર સી.આર. પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી.
આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે. ત્રણ વખત માફી માગી છતાં રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માગી છે, તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે. આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઇકે જાડેજા, બલવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી હતી. હવે તેમણે માફી માગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને તેમને માફ કરી દે.
‘ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે માફ કરી દો’
પાટીલે આગળ કહ્યું કે, ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેના માટે પ્રયત્ન કરશે, આજે અમારી બેઠક અઢી ત્રણ કલાક ચાલી છે અને કોને મળવું તથા કેવી રીતે મળવું તેની જવાબદારીઓ નક્કી થઈ છે. જલદીથી નિવેડો આવે તેના માટે ભાજપ તરફથી પણ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતિ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે અને ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટી સાથે જોડાઈ એવી વિનંતિ કરું છું. જ્યારે ઉમેદવાર બદલવા કોઈ વિચારણા કરી છે? એવા સવાલના જવાબમાં પાટીલે કહ્યું કે, ના એવી કોઈ વિચારણા કરી નથી.