અમીરગઢ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કુપોષણ અને ટીબીના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને, શૈલેષભાઈ પુષ્પતભાઈ વડોદરિયા દ્વારા ‘કુપોષિત અને જોખમી સગર્ભા માતા પોષણ સહાય અભિયાન’ અંતર્ગત 100 થી વધુ સગર્ભા મહિલાઓ અને ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમીરગઢ તાલુકો, જે તરિયાળ વિસ્તાર હોવાના કારણે કુપોષણ અને ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યાં આ અભિયાન દ્વારા જરૂરી પોષણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ધ સેટરીયેટ પોર્ટલના સીઈઓ શ્રી નીરજ અત્રીજી , ચીફ ગૌતમભાઈ પુરોહિત, વીટીવી ડિજિટલના એડિટર ભાવિનભાઈ રાવલ સહિત ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના કોષાધ્યક્ષ અનિતાબેન અગ્રવાલ અને ભાજપના દશ કારોબારી સભ્ય સ્મિતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા.
સગર્ભા મહિલાઓના આરોગ્યની તપાસ માટે પાલનપુરના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. ટેલર દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ટીબીના દર્દીઓને પણ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય.
શૈલેષભાઈ પુષ્પતભાઈ વડોદરિયા છેલ્લા ત્રણ વર્ષથી આ અભિયાન ચલાવી રહ્યા છે, જેના પરિણામે મહિલાઓના મૃત્યુદરમાં અને ટીબીના કારણે થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ કાર્યક્રમ દ્વારા કુપોષણ સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, અને ભવિષ્યમાં પણ આવા પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.