અમદાવાદ: સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા ‘પ્રોજેક્ટ વાત્સલ્ય’ અંતર્ગત ગણેશનગર, પીપળજ, પીરાણા, નારોલ વિસ્તારમાં કુપોષિત બાળકો માટે હાથ ધરાયેલા સર્વેના પરિણામો ચોંકાવનારા હતા. 300થી વધુ ઘરોમાં કરાયેલા સર્વેમાં 1થી 5 વર્ષની વયના 165 બાળકોમાંથી 60 બાળકો કુપોષિત જણાયા હતા. ફાઉન્ડેશને આ બાળકોની છ અઠવાડિયા સુધી સારવાર કરી અને તેમને કુપોષણમાંથી મુક્ત કર્યા.
ફાઉન્ડેશનના સર્વે અને સંશોધનમાં જાણવા મળ્યું કે આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દૂષિત પાણી, અપૂરતી સ્વચ્છતા અને ગંદકીના કારણે બાળકો અને તેમના પરિવારજનોમાં બીમારીઓનું પ્રમાણ ખૂબ વધારે છે. ફાઉન્ડર ટ્રસ્ટી અર્પિતા શાહે જણાવ્યું કે, “સંસ્થાએ અત્યાર સુધીમાં 400 બાળકોને દત્તક લઈને કુપોષણમુક્ત કર્યા છે. બાળકોમાં કુપોષણનું મુખ્ય કારણ માતાઓ દ્વારા ગુટખાનું સેવન, બાળકોને બહારનો જંક ફૂડ ખવડાવવું અને દૂધની જગ્યાએ ચા આપવી છે. આ ઉપરાંત, આસપાસની ગંદકીના કારણે બાળકો વારંવાર બીમાર પડે છે, જેના કારણે તેઓ પૂરતો ખોરાક લેતા હોવા છતાં તેમનું વજન વધતું નથી.”
‘પ્રોજેક્ટ વાત્સલ્ય’ અંતર્ગત 60 કુપોષિત બાળકોને છ અઠવાડિયા સુધી બાળરોગ નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખ હેઠળ દવાઓ, થેરાપ્યુટિક ન્યુટ્રિશન અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. બાળકોની માતાઓને પોષણયુક્ત આહાર વિશે માહિતી આપી અને તેમને ઘરે જ પોષણયુક્ત ખોરાક બનાવવાનું અને બાળકોને કેવી રીતે ખવડાવવું તે શીખવવામાં આવ્યું હતું. આ પ્રયાસોના પરિણામ સ્વરૂપે 60 બાળકોના વજનમાં 400 ગ્રામથી 1 કિલોગ્રામ સુધીનો વધારો થયો હતો અને તેઓ કુપોષણમાંથી મુક્ત થયા હતા. ફાઉન્ડેશન દ્વારા બાળકોને રાશન કીટ, વોટરબેગ અને લંચબોક્સ પણ આપવામાં આવ્યા હતા.
સંસ્થાએ એક વર્ષમાં 400થી વધુ બાળકોને કુપોષણમાંથી મુક્ત કર્યા છે અને 15,000 પરિવારોને કુપોષણની ગંભીરતા વિશે જાગૃત કર્યા છે. આ જાગૃતિ કાર્યક્રમોમાં સગર્ભા મહિલાઓ અને બાળકોને ધાવણ આપતી માતાઓને પણ સામેલ કરવામાં આવી હતી.
ફાઉન્ડેશને કેશવાણીનગર, વાસણા, રામદેવનગર, રણુજા નગર, ગોપાલ આવાસ, ગોકુલ આવાસ, કટારિયાના છાપરા, બૂટભવાની વેજલપુર, હનુમાન પુરાની ચાલી, ઓઢવનો ટેકરો, ગિરનારની ચાલી, જુના વાડજના છાપરા, ન્યુ પ્રેમનગર, નીલગીરીના છાપરા, ચંડોળા તળાવ, કોલસીનો ટેકરો, સુએસ ફાર્મ, સાબરમતી, કાળી ગામ, ગ્યાસપુર અને ગણેશનગર પીપળજ જેવા વિવિધ વિસ્તારોમાં કુપોષણની ગંભીરતા અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવી છે.
આગામી સમયમાં, ફાઉન્ડેશન ‘સુપોષિત ભગિની’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદની ઝૂંપડપટ્ટીઓમાં 50,000થી વધુ સગર્ભા મહિલાઓ, બાળકોને ધાવણ આપતી માતાઓ અને 15થી 20 વર્ષની છોકરીઓને સુપોષણ વિશે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. આ વર્ષના અંત સુધીમાં 3,000થી વધુ બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાનો સંસ્થાનો લક્ષ્ય છે.
આ કેમ્પમાં 100થી વધુ પરિવારોને રાશન કાર્ડ માટે e-KYC કરવામાં મદદ કરવામાં આવી હતી.