વર્ક વિઝાના નામે લાખોની છેતરપિંડી: રામોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ

by Bansari Bhavsar
  1. અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૬/૦૪/૨૦૨૫ ના રોજ વર્ક વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ત્રણ મુખ્ય આરોપીઓ – નિરવભાઈ પ્રમોદભાઈ રાવલ, મયંકભાઈ વસંતભાઈ ઓઝા અને વિષ્ણુભાઈ ગણેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

ફરિયાદની વિગતો

ફરિયાદી પાર્થિક ઈશ્વરભાઈ પટેલ છે, જેઓ મૂળ એ/૧૨, ક્રિષ્ના પાર્ક સોસાયટી, વિરાટનગર રોડ, ઓઢવ, અમદાવાદના રહેવાસી છે અને ICICI બેંકમાં લોન એજન્ટ તરીકે કામ કરે છે. પાર્થિકભાઈએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ યુકેમાં વર્ક પરમિટ વિઝા મેળવીને કામ કરવા જવા માગતા હતા.

તેમણે રામોલ વસ્ત્રાલ ખાતે આવેલ આર્કસ વર્લ્ડ વાઈડ નામની ઓફિસમાં આ અંગે પૂછપરછ કરી હતી, જ્યાં તેમની મુલાકાત આરોપીઓ નિરવ રાવલ, મયંક ઓઝા અને વિષ્ણુભાઈ પટેલ સાથે થઈ હતી. આરોપીઓએ પોતાને વર્ક પરમિટ અને સ્ટુડન્ટ વિઝા માટેની ફાઈલો અલગ-અલગ દેશોમાં મોકલતા હોવાનું જણાવ્યું હતું અને કામ જલ્દી કરી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

નિરવભાઈએ પાર્થિકભાઈને યુકેમાં એમેઝોન વેરહાઉસ અને હોટલમાં નોકરી અપાવવાનું કહ્યું હતું, જ્યાં માસિક ૨૫૦૦ પાઉન્ડ સેલેરી અને રહેવા-જમવાની સગવડ ફ્રીમાં આપવાની વાત કરી હતી. વિઝાની કાર્યવાહી માટે નિરવભાઈએ પાર્થિકભાઈ પાસેથી રૂ. ૧૦,૦૦,૦૦૦ બેંકથી અને બાકીના રૂ. ૯,૦૦,૦૦૦ નોકરી મળ્યા પછી સેલેરીમાંથી કાપી લેવાની વાત કરી હતી.

પાર્થિકભાઈએ નિરવભાઈના કહેવા મુજબ ૨૭/૧૧/૨૦૨૪ થી ૦૧/૧૨/૨૦૨૪ દરમિયાન ICICI બેંકના ખાતામાં રૂ. ૧૦,૦૦,૦૦૦ જમા કરાવ્યા હતા. આ ઉપરાંત, પાર્થિકભાઈએ પોતાના જરૂરી દસ્તાવેજો પણ નિરવભાઈને આપ્યા હતા.

પાર્થિકભાઈએ વિઝા પરમિટ માટે વારંવાર પૂછપરછ કરતા નિરવભાઈએ અલગ-અલગ બહાના બતાવ્યા હતા અને વધુ રૂ. ૫,૦૦,૦૦૦ જમા કરાવવા માટે કહ્યું હતું, જે પાર્થિકભાઈએ ૧૦/૦૧/૨૦૨૫ સુધીમાં જમા કરાવી દીધા હતા. તેમ છતાં, વિઝાનું કામ થયું ન હતું અને આરોપીઓએ છેવટે ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા.

અન્ય ભોગ બનનારાઓ

પાર્થિકભાઈએ તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના જેવા બીજા ઘણા લોકો પણ આ જ રીતે છેતરાયા છે, જેમાં જૈમીનભાઈ ઓધારભાઈ રબારી (રૂ. ૧૦,૦૦,૦૦૦), અમિતકુમાર કનુભાઈ પંચાલ (રૂ. ૧૪,૦૦,૦૦૦), ચિરાગ દલપતસિંહ દરબાર (રૂ. ૧૩,૦૦,૦૦૦), જીતુભાઈ પ્રજાપતિ (રૂ. ૮,૦૦,૦૦૦), આતીસ કનુભાઈ પટેલ (રૂ. ૧૩,૦૦,૦૦૦), દિવ્યેશ ઘનશ્યામભાઈ મોદી (રૂ. ૧૫,૦૦,૦૦૦) અને મૌલિકકુમાર શૈલેષભાઈ પટેલ (રૂ. ૧૪,૦૦,૦૦૦) નો સમાવેશ થાય છે. આરોપીઓએ આ તમામ લોકોને યુકે, ઓસ્ટ્રેલિયા અને યુરોપના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને નાણાં પડાવ્યા હતા અને ખોટા COS લેટર આપ્યા હતા.

પોલીસ કાર્યવાહી

રામોલ પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાંચાભાઈ જવાનજી ચૌધરીને આ કેસની તપાસ સોંપવામાં આવી છે.

પોલીસ હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ તપાસ કરી રહી છે અને ભોગ બનનારાઓને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરી રહી છે.

Related Posts