અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશનમાં ખૂનના ગુનામાં જામીન પર છૂટેલા અને પ્રોહિબિશન કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન, બાતમી મળતા ટીમે નરોડાના કુબેરનગર વિસ્તારમાંથી વિશાલ પરસોત્તમભાઈ ચૌહાણ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, વિશાલ ૨૦૧૯માં વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનના કેસમાં સંડોવાયેલો હતો અને જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત, તે વાડજ પોલીસ સ્ટેશનમાં જ નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં પણ છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ હતો.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેના વિરુદ્ધ વાડજ, શાહપુર, માધુપુરા અને સાંતેજ પોલીસ સ્ટેશનમાં ખૂન, મારામારી અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વાડજ પોલીસને સોંપી દીધો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.