અમદાવાદ: માધુપુરા વિસ્તાર, જે ક્યારેક પોતાની ધમધમતી બજારો માટે જાણીતું હતું, તે હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે. સ્થાનિક પોલીસની કથિત નિષ્ક્રિયતા વચ્ચે, Prevention of Crime Branch(પીસીબી)એ ગુરુવારે રાત્રે સફળ કાર્યવાહી કરીને દેશી દારૂના એક મોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં પોલીસે ₹ 32,000ની કિંમતનો ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, સાથે જ બે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ દરોડો રાત્રે લગભગ ૯ વાગ્યે માધુપુરાના ગોરબજાર વિસ્તારમાં અને એક શંકાસ્પદ રહેણાંક મકાનમાં પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને આઠ મેણીયાના થેલામાંથી અંદાજે ૧૬૦ લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે ઘટનાસ્થળેથી ૧,૮૯૦ની રોકડ રકમ પણ કબજે કરી છે, જે દારૂના વેચાણમાંથી હોવાનું માનવામાં આવે છે.
આ કેસમાં પોલીસે મનોજ ઉર્ફે મનીયો બેચરભાઈ ઠાકોર, ૪૨ વર્ષીય સ્થાનિક રહેવાસીની ધરપકડ કરી છે. જો કે, સુરેશભાઈ નામનો અન્ય એક આરોપી, જે ઇદગાહ વિસ્તારનો વતની છે, તે પોલીસના હાથમાં આવ્યો નથી અને હાલમાં ફરાર છે. પીસીબીની ટીમ તેની શોધમાં લાગી છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ પીસીબીની આ સરાહનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે, તો બીજી તરફ માધુપુરા પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. લોકોનું માનવું છે કે જો સ્થાનિક પોલીસ સતર્ક હોત તો આટલા મોટા પાયે ગેરકાયદેસર દારૂનો વેપલો ચાલતો ન હોત ? શું માધુપુરા પોલીસ ખરેખર આ પ્રવૃત્તિઓથી અજાણ હતી? કે પછી કોઈ અન્ય કારણોસર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા?
પીસીબીએ આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસનો દોર આગળ વધાર્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને શું માધુપુરા પોલીસની કોઈ બેદરકારી સામે આવે છે કે નહીં. આ ઘટનાએ ફરી એકવાર શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.