કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું આહ્વાન: બિહાર વિધાનસભા ચૂંટણીમાં 1990ની ભૂલ ન દોહરાવો

by Bansari Bhavsar

અમદાવાદ: કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, આજે “બિહાર દિવસ-2025” નિમિત્તે આયોજિત “એક ભારત શ્રેષ્ઠ ભારત” સ્નેહ મિલન કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે હાજરી આપી હતી.

આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી ગિરિરાજ સિંહે બિહારના ભૂતકાળ અને વર્તમાન વિકાસની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બિહારમાં જ્યારે પરિવારવાદ ચરમસીમાએ હતો અને લાલુ પ્રસાદ યાદવની સરકાર હતી, ત્યારે સૌથી વધુ લોકોએ રાજ્યમાંથી પલાયન કર્યું હતું. ગૌચર કૌભાંડમાં જેલમાં ગયા પછી પણ તેમનો પરિવાર ભ્રષ્ટાચારના કાદવમાંથી બહાર આવી શક્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારની સરકારે આ ભ્રષ્ટાચારના ખાડાને પૂરવાનું કામ કર્યું છે.

શ્રી ગિરિરાજ સિંહે ગુજરાતના વિકાસ મોડેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આજે તમામ રાજ્યો ગુજરાતના વિકાસનું ઉદાહરણ આપે છે અને હવે બિહારમાં પણ ગુજરાતની જેમ જ વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે કચ્છ જેવી બંજર ભૂમિ પર પાણીની ઉપલબ્ધતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તે જ રીતે બિહારના છેવાડાના ગામો સુધી પણ પાણી પહોંચ્યું છે. તેમણે બિહારમાં માર્ગોના વિકાસની વાત કરતાં જણાવ્યું હતું કે જે રસ્તાઓ કાપવામાં પહેલાં પાંચ કલાક લાગતા હતા, તે હવે માત્ર દોઢ કલાકમાં પૂર્ણ થાય છે. બિહારમાં બની રહેલા રસ્તાઓ અને હાઈવેથી વ્યાપારી પરિવહન ખૂબ જ ઝડપી બન્યું છે.

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં શ્રી ગિરિરાજ સિંહે બિહારના લોકોને 1990માં થયેલી ભૂલને ન દોહરાવવા અને એનડીએની સરકાર બનાવવા માટે સક્રિયપણે યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો તેજસ્વી યાદવની સરકાર બનશે તો બિહારને બંગાળ બનતા વાર નહીં લાગે. તેમણે બિહારમાં થઈ રહેલા વિકાસ કાર્યોની માહિતી આપતાં જણાવ્યું હતું કે આજે બિહારમાં પાંચ નવા એરપોર્ટ બની રહ્યા છે અને 2005 પહેલાં જ્યાં વીજળી ભાગ્યે જ આવતી હતી, ત્યાં હવે 24 કલાક વીજળી મળી રહી છે. તેમણે તમામ બિહારવાસીઓને નમન કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથને વધુ મજબૂત કરવા અને ગુજરાતની સાથે બિહારની પ્રગતિમાં પણ મહત્તમ યોગદાન આપવા વિનંતી કરી હતી.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દેશના ખૂણે ખૂણેથી લોકો આવીને વસ્યા છે અને તેઓએ ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌને કોઈપણ અગવડ ન પડે તેનું સતત ધ્યાન રાખી રહી છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “ગુજરાત મારી આત્મા છે અને ભારત દેશ મારો પરમાત્મા” ના સૂત્રને યાદ કરતાં જણાવ્યું હતું કે આજે તેમના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની જેમ દેશના દરેક રાજ્યનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. તેમણે બિહારને જ્ઞાન અને ઇતિહાસની ભૂમિ ગણાવીને એનડીએ સરકાર દ્વારા તેને જાતિવાદ અને ભ્રષ્ટાચારથી મુક્ત કરીને વિકાસની રાજનીતિ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. શ્રી ઋષિકેશભાઈ પટેલે ભારપૂર્વક કહ્યું હતું કે ગુજરાત સરકારે હંમેશા બિહારના લોકોને પોતાના ભાઈઓ અને બહેનો માન્યા છે. બિહારમાં વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી વિકાસલક્ષી યોજનાઓ અને છેવાડાના માનવીને લાભ થાય તેવી યોજનાઓને જોતાં હવે બિહાર પણ વિકાસના પંથે ખૂબ આગળ વધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ સ્નેહમિલન કાર્યક્રમમાં બિહાર રાજ્યના ભાજપાના મંત્રી શ્રી સંતોષ રંજન રાય, અમદાવાદ મહાનગરના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ પી. શાહ, અન્ય ભાષાભાષી સેલના પ્રદેશ સંયોજક શ્રી અતુલભાઈ મિશ્રા, શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર પાયલબેન કુકરાણી, શ્રી દિનેશભાઈ કુશવાહ, મહાનગરના અન્ય ભાષાભાષી સેલના સંયોજકશ્રીઓ, સહસંયોજકશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તેમજ અમદાવાદમાં રહેતા બિહારના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

Related Posts