અમદાવાદ: વટવા વિસ્તારમાં એક યુવકની હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના પ્રેમ ત્રિકોણના કારણે બની હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકનું નામ મોહમ્મદ જાવેદ છે. આરોપીઓએ તેને વસંત ગજેન્દ્ર ગડકર નગર ચાર માળિયા વિસ્તારમાં બોલાવ્યો હતો અને ત્યાં તેની પર હુમલો કર્યો હતો.
આરોપીઓમાં મોહમ્મદ જમીર શેખ, મોહમ્મદ જાફર શેખ, કાસમભાઈ શેખ અને રાશીદાબાનુનો સમાવેશ થાય છે. પોલીસે ચારેયની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
FIR મુજબ, જમીર શેખે જાવેદને છરીના ઘા માર્યા હતા, જ્યારે અન્ય આરોપીઓએ પણ તેને માર મારવામાં મદદ કરી હતી. જાવેદને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ આ કેસની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે.