રખિયાલમાં લોહિયાળ જંગ,અજીત રેસિડેન્સીમાં તાંડવ: તલવારો ઉછળી, લોકોમાં દહેશત

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી અજીત રેસિડેન્સીમાં ૧૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ રાત્રે એક હિંસક ઘટના બની હતી, જેમાં ૧૦ થી વધુ લોકોના ટોળાએ તલવાર અને અન્ય હથિયારોથી હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ઘટના રાત્રે આશરે ૮ થી ૯ વાગ્યાની વચ્ચે બની હતી. ફરિયાદી સલમાનખાન પઠાણે જણાવ્યું હતું કે તેઓ જ્યારે એક લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ જૂની અદાવતના કારણે તેમના પર હુમલો કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદીના ઘર પર તલવાર અને પથ્થરોથી હુમલો કર્યો હતો, તેમજ ગંદી ગાળો બોલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હુમલામાં ઘરના દરવાજા, બારીઓ અને અન્ય સામાનને નુકસાન થયું હતું, જેનું અંદાજિત નુકસાન ૨૦,૦૦૦ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું છે.

આ હુમલાની ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભારે ડર અને ચિંતા ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આવી હિંસક ઘટના અગાઉ ક્યારેય બની નથી અને તેઓ પોતાના ઘરોની સુરક્ષાને લઈને ચિંતિત છે. કેટલાક લોકોએ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય.

પોલીસે આ કેસમાં ફહીમ તોફીક સીદ્દીકી, અફવાન અજીમ સીદ્દીકી, કલીમ તોફીક સીદ્દીકી, આમીર, અજીમ તૌફીક સીદ્દીકી, જાવેદ નીયાદખાન પઠાણ, અદનાન અજીમ સિદ્દીકી અને અન્ય અજાણ્યા લોકો સહિત ૧૦ થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી અને નીચે જણાવેલ 7 આરોપીઓની ધરપકડ કરી છે:

* અફવાત મ. અંજુમ સિદ્દીકી

* અસરફ અદાદતખાન પઠાણ

* અમ્મર મ.અંજુમ સિદ્દીકી

* મ. કાલિમ તોફીક સિદ્દીકી

* મ. અજીમ તોફીક સિદ્દીકી

* પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન

* એક જુવેનાઈલ (સગીર)

પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

Related Posts