અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. બનાવ 15 એપ્રિલ, 2025 અને 16 એપ્રિલ, 2025 ની વચ્ચે બન્યો હતો, જેમાં તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ અને સોનાના દાગીના મળીને અંદાજે 15 લાખ 60 હજાર રૂપિયાની મત્તાની ચોરી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદી શ્રેણીકભાઈ ધુડાલાલ શાહ તેમના પરિવાર સાથે 15 એપ્રિલના રોજ રાજસ્થાનના કુંભલગઢ ખાતે ફરવા ગયા હતા. 16 એપ્રિલની રાત્રે તેમના ભાઈ વિક્રમભાઈએ તેમને ફોન કરીને ચોરીની જાણ કરી હતી.
વિક્રમભાઈના જણાવ્યા મુજબ, તેમની પત્ની અંકિતાબેન રાત્રે સાડા આઠ વાગ્યે ઝાડુ લેવા માટે શ્રેણીકભાઈના ઘરે ગયા હતા, ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને લોકર તૂટેલું હતું.
આ ઘટના અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહી છે.
આ ચોરીની ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે અને લોકો પોતાના ઘરની સુરક્ષાને લઈને ચિંતિત છે.