અમદાવાદ: ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રનું ડિમોલેશન અભિયાન ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. આજે નાના ચંડોળા તળાવ પાસે આવેલા મિલતનગરમાં સવારથી જ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં ગની પથ્થરવાળાની પાંચ દુકાનો, એક ઓરડી અને લેબર કોલોની સહિતના ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ ડિમોલેશન શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો.
અગાઉના બે દિવસોમાં પણ તંત્ર દ્વારા આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રનું કહેવું છે કે આ ડિમોલેશનની કાર્યવાહી ચંડોળા તળાવની આસપાસના દબાણો દૂર કરવાના અભિયાનનો એક ભાગ છે અને જ્યાં સુધી તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર નહીં થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર બાંધકામો ઘણા સમયથી અહીં ઊભા હતા અને તંત્ર દ્વારા આખરે તેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિમોલેશનને પગલે અસરગ્રસ્ત લોકોમાં થોડી નારાજગી જોવા મળી રહી છે, પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.