અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો બનાવ, જમીનના નામે લાખો પડાવ્યા

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં છેતરપિંડીના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ વખતે ચાંદખેડાના ગંગાજી નારાજી વણઝારા નામના વ્યક્તિએ બે શખ્સો વિરુદ્ધ જમીન ખરીદવાના બહાને ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ગંગાજી વણઝારા (ઉં.વ. ૪૯, રહે. દેવરથ બંગ્લોઝ, ન્યુ સી.જી. રોડ, ચાંદખેડા)એ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી દીલીપ બનારસીલાલ મલ્લાહ (રહે. રાજેશ્વરી સોસાયટી, ચાંદખેડા) અને ચિરાગ બળદેવભાઈ પારેખ (રહે. બાલાજી ઉપવન, ઝુંડાલ)એ તેમની સાથે છેતરપિંડી આચરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નવેમ્બર ૨૦૨૩ થી આજદિન સુધીના સમયગાળામાં આરોપીઓએ ગંગાજી વણઝારાને સાબરમતીના રામનગરમાં આવેલો એક પ્લોટ સસ્તા ભાવે ખરીદાવી આપવાની વાત કરી હતી. આ પ્લોટ બેંક ઓફ બરોડાની નવરંગપુરા શાખામાં ઓક્શનમાં આવેલો હતો. આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતીને આર.ટી.જી.એસ. અને રોકડ મળી કુલ ૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

ત્યારબાદ આરોપી ચિરાગ પારેખે તે પ્લોટ પોતાના નામે ખરીદી લીધો અને તેને અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધો હતો. જ્યારે ગંગાજી વણઝારાએ પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપી દીલીપ મલ્લાહે તેમને ૨૦ લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ બાકીના ૩૦ લાખ રૂપિયા આપવા માટે તેઓ ખોટા વાયદાઓ કરવા લાગ્યા. આ રીતે આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

સાબરમતી પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને પો.સ.ઈ. શ્રી આર.એચ. પાંડવ આ કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસ ટૂંક સમયમાં બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરશે તેવી શક્યતા છે.

 

Related Posts