અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં એલીજબ્રીજ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ઘરઘાટીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી લોકેશ સ/ઓ રમેશભાઇ મનુભાઈ નનોમા, ઉંમર ૨૫ વર્ષ, કે જે મૂળ રાજસ્થાનનો વતની છે અને અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહે છે, તેની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તા.૧૫મી એપ્રિલના રોજ પાલડી મેટ્રો સ્ટેશન સામે આવેલા નવકાર બંગ્લોઝના એક મકાનમાંથી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરતા ફરિયાદીના ઘરે કામ કરતા ઘરઘાટી લોકેશની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી.
પોલીસે બાતમીના આધારે તા.૧લી મેના રોજ પાલડીના કચ્છી ભવન ચાર રસ્તા પાસેથી લોકેશને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે રૂ.૬૦,૦૦૦ની રોકડ રકમ, એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૧૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પૂછપરછ દરમિયાન આરોપી લોકેશે ગુનાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે મકાનમાલિક અને તેમનો પરિવાર રાજસ્થાનના કુંભલગઢ ફરવા ગયા હતા, ત્યારે તેણે પોતાના વતનથી અન્ય સાગરીતોને બોલાવીને ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીએ ચોરી કરેલા રૂપિયા પોતાના સાથીદારો સાથે વહેંચી લીધા હતા અને પોતે ઘરઘાટી તરીકે કામ કરતો રહ્યો જેથી કોઈને તેના પર શંકા ન જાય.
પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને એલીજબ્રીજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ચાલી રહી છે. પોલીસ હવે તેના અન્ય સાથીદારોને પકડવા માટે પણ તપાસ ચલાવી રહી છે.