પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે આવતીકાલે ગુજરાતના 15 જિલ્લા સહિત દેશના 244 જિલ્લાઓમાં સાયરન વાગશે, નાગરિકોને કટોકટી માટે તાલીમ અપાશે

by Bansari Bhavsar

અમદાવાદ: પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આવતીકાલે, 7 મેના રોજ ગુજરાતના 15 જિલ્લાઓ સહિત દેશના કુલ 244 જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે તાલીમ આપવાનો અને નાગરિક સંરક્ષણની તૈયારીઓનું મૂલ્યાંકન કરવાનો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ મોક ડ્રીલમાં નાગરિકોને હુમલા જેવી પરિસ્થિતિઓમાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવા તેની તાલીમ આપવામાં આવશે. નોંધનીય છે કે 1971 બાદ દેશમાં આ પ્રકારની આ પ્રથમ મોટી નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ છે.

આજના દિવસે, કેન્દ્રીય ગૃહ સચિવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. ગુજરાત તરફથી મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય, મોકડ્રીલના ઇન્ચાર્જ આઈપીએસ મનોજ અગ્રવાલ અને અધિક મુખ્ય સચિવ (ગૃહ) મનોજ દાસ આ બેઠકમાં જોડાશે. આ ઉપરાંત, સરહદી જિલ્લાઓના કલેક્ટરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ પણ આ મહત્વપૂર્ણ બેઠકનો ભાગ બનશે. બેઠક બાદ રાજ્યમાં યોજાનારી મોકડ્રીલની રૂપરેખા જાહેર કરવામાં આવશે.

ગુજરાતના આ જિલ્લાઓમાં યોજાશે મોકડ્રીલ:

વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, દ્વારકા, જામનગર, કચ્છ, મહેસાણા, ભાવનગર, ભરૂચ, ગાંધીનગર, નર્મદા, નવસારી અને ડાંગ જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે.

ક્યાં વાગશે સાયરન?

આ મોકડ્રીલ દરમિયાન સરકારી મકાનો, વહીવટી ભવનો, પોલીસ મુખ્યાલયો, ફાયર સ્ટેશનો, લશ્કરી થાણાઓ, શહેરના મોટા બજારો અને પિંચ પોઇન્ટ જેવી જગ્યાઓ પર સાયરન લગાવવામાં આવશે.

સાયરન વાગે ત્યારે શું કરવું?

જો મોકડ્રીલ દરમિયાન સાયરન વાગે તો નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. સલામત સ્થળે પહોંચવા માટે 5 થી 10 મિનિટનો સમય આપવામાં આવશે. આ દરમિયાન ગભરાયા વિના ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવા અને ઘરો અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જવા માટે સૂચના આપવામાં આવી છે. લોકોને ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા તેમજ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

સરકારનું આ પગલું નાગરિકોને સંભવિત કટોકટીઓ માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે, જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન ઓછું કરી શકાય.

Related Posts