આદિવાસી વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો માર્ગ મોકળો

સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆત રંગ લાવી: આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે

by Bansari Bhavsar

વલસાડ, ગુજરાત: ગુજરાતના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે એક આનંદના સમાચાર છે. વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ દ્વારા માર્ચ ૨૦૨૫માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પત્ર લખીને આદિવાસી વિદ્યાર્થીઓને મળવા પાત્ર પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ વિષયે તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું.

આ સંદર્ભે, આજરોજ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં તમામ આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા આદિવાસી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક આદિવાસી ધારાસભ્યો તેમજ અન્ય સાંસદશ્રીઓ દ્વારા પણ વખતોવખત આ વિષય સંદર્ભે સરકારશ્રીને રજૂઆતો કરવામાં આવી હતી. આજના ભારતીય જનતા પાર્ટીની સરકારના આ નિર્ણયથી ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજના લોકોને મોટો લાભ મળશે.

આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા આદિવાસી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે, જે તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે. સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.

Related Posts