શાસ્ત્રીનગરમાં શ્રીજી ચાઇવાલેને જાહેર શૌચાલય તોડી પાડવા બદલ ₹50,000 નો દંડ, ભાજપના કાર્યકર્તા હોવાથી સીલ મારવાની કાર્યવાહી ટળી?

by Bansari Bhavsar

અમદાવાદ, [જૂન 30, 2025]: શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી શ્રીજી ચાઇવાલેની દુકાન વિવાદમાં સપડાઈ છે. દુકાનદારે દુકાનની બહાર આવેલું જાહેર શૌચાલય તોડી પાડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ₹50,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રીજી ચાઇવાલેની દુકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન, દુકાનની બહાર સરકારી જમીન પર સ્થિત જાહેર શૌચાલયને તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો કચરો પણ ત્યાં જ પડ્યો રહ્યો હતો. આ ઘટના બાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દુકાનને સીલ મારવા માટે પહોંચી હતી.

જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ દુકાન કોઈ ભાજપના યુવા કાર્યકર્તાની હોવાથી સીલ મારવાની કાર્યવાહી ટાળવામાં આવી હતી અને માત્ર દંડની કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક રહીશો અને અન્ય દુકાનદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સાથે એવી માહિતી પણ સામે આવી છે કે હવે આગામી સમયમાં આ જાહેર શૌચાલયનું ફરી બાંધકામ દુકાનદાર પોતાના ખર્ચે કરાવશે. કોર્પોરેશન દ્વારા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ રાજકીય જોડાણને કારણે સીલ મારવાની કાર્યવાહી ટળી હોવા અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે કોર્પોરેશન તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી આવ્યું નથી.

 

Related Posts