અમદાવાદ:
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી 21 થી 24 જાન્યુઆરી અને 28 થી 29 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાનારી JEE (Main) 2026 ની પરીક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-2023 ની કલમ-163 અન્વયે આ આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદના મુખ્ય પરીક્ષા કેન્દ્રો:
શહેરના નીચેના વિસ્તારોમાં પરીક્ષા કેન્દ્રો આવેલા છે:
ગોલ્ડ કોસ્ટ: ત્રીજો માળ, વંશરાજ પાંજરાપોળ ચાર રસ્તા, એસ.પી. રિંગ રોડ, માધવ ફાર્મ પાસે.
શ્રી વિરેશ્વર ઇન્ફોટેક (બીજો અને ત્રીજો માળ): સિદ્ધિવિનાયક આર્કેડ, બાર્સેલોના સર્કલ પાસે, ઓઢવ.
શ્રી વિરેશ્વર ઇન્ફોટેક (ત્રીજો માળ): સિદ્ધિવિનાયક આર્કેડ, બાર્સેલોના સર્કલ, ટી.જી.બી. હોટલ પાસે, ઓઢવ.
જાહેરનામાની મુખ્ય વિગતો અને પ્રતિબંધો:
પરીક્ષાના દિવસોમાં કેન્દ્રોની આસપાસ નીચે મુજબના પ્રતિબંધો અમલમાં રહેશે:
100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધ: પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર વિસ્તારમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર મનાઈ છે.
ઝેરોક્ષ સેન્ટરો બંધ: પરીક્ષા કેન્દ્રોની આસપાસના 1 કિલોમીટરના વિસ્તારમાં આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષા સમયે બંધ રાખવાની રહેશે.
ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર મનાઈ: વિદ્યાર્થીઓ કે અન્ય કોઈપણ વ્યક્તિ (સક્ષમ અધિકારી સિવાય) પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકશે નહીં.
ઘોંઘાટ પર પ્રતિબંધ: પરીક્ષા કેન્દ્રોની આસપાસ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
ટ્રાફિક અને પાર્કિંગ: કેન્દ્રોની આસપાસ વાહનોના આવાગમનમાં અવરોધ થાય તે રીતે વાહનો પાર્ક કરવા પર રોક લગાવવામાં આવી છે.
શસ્ત્ર પ્રતિબંધ: પરીક્ષા સ્થળે કોઈપણ પ્રકારના હથિયાર લઈ જવા પર કડક મનાઈ છે.
આ જાહેરનામું પરીક્ષાના નિર્ધારિત સમય એટલે કે પ્રથમ શિફ્ટ (સવારે 9:00 થી 12:00) અને બીજી શિફ્ટ (બપોરે 15:00 થી 18:00) દરમિયાન લાગુ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.