અમદાવાદ:
શહેરમાં ઘરઘાટી રાખીને રહેતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો પાલડી વિસ્તારમાંથી સામે આવ્યો છે. પાલડીમાં આવેલી ગૌતમીબાગ સોસાયટીમાં રહેતા એક પરિવારના વિશ્વાસુ ઘરઘાટીએ જ ઘરમાંથી અંદાજે ૫૦ લાખ રૂપિયાની મતાની ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાવી મેળવી કબાટો સાફ કર્યા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાલડી સુવિધા શોપિંગ સેન્ટર સામે આવેલી ગૌતમીબાગ સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય કરણભાઈ હેલભાઈ શાહે ગત તારીખ ૧૩/૦૭/૨૦૨૬ના રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેમની ફરિયાદ અનુસાર, તેમના ઘરમાં સાથે રહેતો અને ઘરઘાટી તરીકે કામ કરતો આરોપી કમલેશ મીણા (મૂળ રહેવાસી: અમલવા સલુમ્બર, ઉદયપુર, રાજસ્થાન) તારીખ ૦૯/૦૭/૨૦૨૬ના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યાથી તારીખ ૧૩/૦૭/૨૦૨૬ના બપોરે ૧:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરમાં એકલો હતો. આ દરમિયાન આરોપી કમલેશે કોઈક રીતે કરણભાઈના બેડરૂમમાં આવેલા બંને કબાટોની ચાવી મેળવી લીધી હતી. ચાવીથી કબાટ ખોલીને તેને અંદર રાખેલા સોનાના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી.
ચોરી થયેલી મતાની વિગત:
સોનાના દાગીના: કિંમત રૂપિયા ૪૮,૧૬,૦૦૦/-
રોકડ રકમ: રૂપિયા ૧,૪૬,૦૦૦/-
કુલ મતા: રૂપિયા ૪૯,૬૨,૦૦૦/-
પોલીસ તપાસ શરૂ
પરિવારને ચોરી અંગે જાણ થતાં જ તેઓએ તાત્કાલિક પાલડી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે કુલ ₹૪૯,૬૨,૦૦૦/- ની ચોરી અંગે ગુનો નોંધી રાજસ્થાનના આરોપી ઘરઘાટીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ હાઈપ્રોફાઈલ ચોરીના ગુનાની વધુ તપાસ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (પો.ઇ.) શ્રી બી.પી. ભેટારીયા ચલાવી રહ્યા છે.