Gold-Silver Price decreased| હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે અને હવે જન્માષ્ટમી ઉપરાંત આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આંગણે ટકોરો મારશે. ત્યારે મોટાભાગે તહેવારોના સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની માંગમાં વધારો થતા સોના ચાંદીના ભાવ પણ વધતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલની સ્થિતિએ સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી બાદ ઘટાડો નોંધાયો છે.
છેલ્લા 3 મહિનામાં ચાંદીના ભાવમાં પણ 3 હજાર રૂપિયાનો ઘટાડો
સોના, ચાંદીના ભાવની હાલની સ્થિતિ વર્ણવતા સોના-ચાંદીના વેપારીએ કહ્યું હતું કે, હાલ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 3 મહિનાના સમયગાળા દરમિયાન સોનાના તોલા દીઠ ભાવમાં 3 હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ચાંદી પણ 3 હજાર રૂપિયા સુધી સસ્તું થયું છે. વેપારીના જણાવાયા અનુસાર હાલ સોનાનો તોલા દીઠ ભાવ 60,200 રૂપિયા જોવા મળી રહ્યો છે. બીજી તરફ જન્માષ્ટમી અને દિવાળી સહિતના તહેવારોમાં પણ સોના-ચાંદીના ભાવ ન વધવાના સંકેત મળી રહ્યા છે અને સોનાના ભાવ 58 હજાર અને ચાંદીના ભાવ 68 હજાર બોલાવાની પ્રબળ શકતાઓ સેવાઇ રહી છે.
સોનાના ભાવ 58 હજાર તથા ચાંદીના ભાવ 68 હજાર બોલાવાની શક્યતા
વેપારી નિશાંત ઝવેરીએ વધુમાં કહ્યું કે સોનાની માંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ ભારતીય બજારમાં થોડી ઘણી ઘરાકી દેખાઈ રહી છે. એક સમયે સોનાંનો જે ભાવ 1980 ડોલર થતો હતો. તે આજે 100 ડોલર ઘટીને 1890 થી 1895 ડોલર થઈ ગયા છે. બીજી બાજુ ચાંદી પણ એક સમયે સ્થાનિક બજારમાં 80 હજાર સુધી પહોંચી હતી. જે હવે 72 હજારના ભાવમાં વેંચાઈ રહી છે. વર્લ્ડની સેન્ટ્રલ બેંકો હાલની સ્થિતિએ સોનાનું રિઝર્વ ઘટાડી રહી છે. જે પણ માંગ ઘટવા પાછળનું કારણ છે તેમ વેપારીએ જણાવ્યું હતું.