Iscon bridge accident| અમદાવાદનો ઈસ્કોન બ્રિજ વધુ એક અકસ્માતનો સાક્ષી બન્યો છે. ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં એક ભિક્ષુકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઈસ્કોન બ્રિજના છેડે સર્જાયેલા અકસ્માતમાં એક ભિક્ષુકનું મોત નિપજ્યું છે. ભિક્ષુકના પગના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ભિક્ષુકનું અકસ્માતને કારણે મોત નીપજ્યું છે કે પટકાઈ જવાથી મોત થયું છે? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
તાજેતરમાં જ ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અતિગંભીર અકસ્માતને લોકો ભુલી શક્યા નથી, ત્યાં જ ઇસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો છે. સવારના સમયે સર્જાયેલા અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પીક અવર્સમાં આ બ્રિજ પર વાહનોનો ભારે ધસારો રહેતો હોય છે, આવા સમયે અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે વધુ ટ્રાફિકજામ થતો અટકાવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.
નોંધનીય છે કે, થોડા સમય અગાઉ મધરાતે સર્જાયેલા થાર અને ડમ્પર વચ્ચેના અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.