અમદાવાદના બોપલ બ્રિજ પર આજે બપોરે 1 વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 45 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું છે. મૃતકનું નામ શંકર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ મધ્યપ્રદેશના રહેવાસી હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, શંકર એચ.એન. સફલ ખાતે મજૂર તરીકે કામ કરતા હતા. અકસ્માત સમયે તેઓ બોપલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક આઇસર ટ્રકે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે શંકરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માત સર્જ્યા બાદ આઇસર ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પોલીસે ફરાર આઇસર ડ્રાઇવરને પકડવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.