News Inside
ગુજરાત : વન વિભાગ દ્વારા તાજેતરમાં માનવજાત માટે નુકસાનકારક એવા કોનોકાર્પસ વૃક્ષના ઉછેર પર ગુજરાતમાં પ્રતિબંધ લગાવ્યો છે. તે બાદ અનેક પાલિકાઓએ આ વૃક્ષ કાપવાન કવાયત હાથ ધરી હતી. પરંતું હજી પણ આ વૃક્ષો જોવા મળે છે. ત્યારે આ છોડ માનવજાતિનું વિનાશ નોતરી શકે છે. આ રાક્ષસી છોડ કોનોકાર્પસ ગુજરાતમાં બીજી મહામારી લાવી શકે છે. તેનો પુરાવો આપતો કિસ્સો ગાંધીનગરમાં સામે આવ્યો છે. સાણંદમાં એક પિતાએ આક્ષેપ કર્યો કે, મારી 3 વર્ષની બાળકી કોનોકાર્પસના ઇન્ફેક્શનથી 6 માસથી પિડાય છે. જો તમારી આસપાસ પણ આ છોડ હોય તો ચેતી જજો, તમે પણ બીમારીની ઝપેટમાં આવી શકો છો.
સમગ્ર મામલો
સાણંદમાં 3 વર્ષની બાળકીને કોનોકાર્પસ ઝાડની અસરથી ઇન્ફેક્શન હોવાનો આક્ષેપ એક પિતાએ કર્યો છે અને મુખ્યમંત્રીને કોનોકાર્પસના ઝાડ નાશ કરવા રજૂઆત કરી હતી. સાણંદ શહેરમાં એક પિતાએ તેઓની 3 વર્ષીય બાળકીને છેલ્લા 6 મહિનાથી શરદી, ખાંસીનું ઇન્ફેક્શન કોનોકાર્પસના ઝાડના કારણે થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બાળકીને છેલ્લાં એક મહિનાથી રોજ નેબ્યુલાઈઝર આપવું પડે છે.
રાજ્યમા હજારો કોનોકાર્પસ હજી પણ છે
વન વિભાગના પરિપત્ર બાદ પણ તંત્ર હજી જાગ્યુ નથી. અમદાવાદમાં હજી પણ કોનોકાર્પસના 1707 છોડ જ કાપવામાં આવ્યા છે. બાકીના 21,284 છોડ કાપવાના બાકી છે. તો સુરતમાં 2 લાખ, વડોદરામાં 24 હજાર અને અમદાવાદમાં 21 હજાર કોનોકાર્પસ હજી લોકો વચ્ચે ઉછરી રહ્યા છે. તેને કાપવાની તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવાતી નથી.
કોનોકાર્પસ કેટલા જીવલેણ છે
દેખાવમાં સારો લાગતો આ છોડ હકીકતમાં જીવલેણ છે. તે માણસોને અનેક બીમારી આપી શકવા માટે સક્ષમ છે. હવામાં ફેલાતા તેના પગારરજને કારણે શ્વાસ, એલર્જી, શરદી ઉધરસની બીમારી ઝડપથી ફેલાય છે.
વન વિભાગ દ્વારા લગાવાયો હતો પ્રતિબંધ
તાજેતરમાં વન વિસ્તાર અને વન વિભાગની નર્સરીઓમાં કોનોકાર્પસના રોપાના ઉછેર અને તેના વાવેતર કરવા પર પ્રતિબંધ મુકાયો હતો. વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગ દ્વારા આદેશ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પણ પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત કરાઈ છે. પુરા રાજ્યમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પ્રતિબંધ લગાવાયો છે. વિદેશી પ્રજાતિ કોનોકાર્પસ થી પર્યાવરણ અને માનવજીવન ઉપર નકરાત્મક અસરો ગેરફાયદાઓ હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. કોનોકાર્પસના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે. તેનાથી ઘણા સંદેશાવ્યવહાર કેબલ, ઘણી ડ્રેનેજ લાઇન અને તાજા પાણીની વ્યવસ્થાને નુકશાન પહોંચાડે છે. તેમજ કોનોકાર્પસના પરાગરજકોના કારણે નાગરીકોમાં શરદી, ઉધરસ, અસ્થમા, એલર્જી રોગો થવાની શકયતા છે.
અનેક દેશોએ આ વૃક્ષ પર લગાવ્યો છે પ્રતિબંધ
પરંતું અનેક દેશોએ તેના ખરાબ ગુણધર્મોને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તેલંગાણા સરકારે તાજેતરમાં જ ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત ‘હરિતા વનમ્’ નર્સરીમાં કોનોકૉર્પસ ન ઉગાડવાનો લેખિત આદેશ આપ્યો છે. કુવૈત, કતાર અને યુએઈ જેવા દેશોએ તેની આયાત પર અંકુશ કર્યો છે.