‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ટીવી જગતના લોકપ્રિય શોમાંથી એક છે. આ શો છેલ્લા 15 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો આવ્યો છે. આ શો વર્ષ 2008માં ઓન એર થયો હતો. બસ ત્યારથી ફેન્સ તેને ખુબ પસંદ કરે છે. શોમાં સ્ટોરીલાઈનથી લઈને સ્ટારકાસ્ટ સુધી દરેક વસ્તુને પરફેક્ટલી દર્શાવવામાં આવે છે.
જો કે, હાલમાં આ શો અનેક વિવાદોમાં પણ ઘેરાયો છે. શોના કેટલાક કલાકારોએ શો સાથેનો નાતો તોડી નાખ્યો છે અને કેટલાક કલાકારોએ તો સીરિયલના મેકર્સ પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. શોમાં અનેક કલાકારોના રિપ્લેસમેન્ટ પણ આવી ચૂક્યા છે. જો કે, દયાબેનના પાત્ર માટે હજુ સુધી કોઈ નવા કલાકારને લાવવામાં આવ્યા નથી. અત્રે જણાવવાનું કે, આ શોમાં દિશા વાકાણી દયાબેનનું પાત્ર ભજવતી હતી.
વાત એમ છે કે, કેટલાક વર્ષો પહેલા દિશા વાકાણીએ મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદ તે શોમાં પાછી ફરી ન હતી. તે બાદ ફક્ત એક વાર એપિસોડમાં જોવા મળી હતી. ફેન્સ હવે તેમના ચહિતા દયાબેનને ખુબ મિસ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે અને મેકર્સ તેની જગ્યાએ નવા ચહેરાની શોધમાં છે. જો કે હવે એવી માહિતી મળી રહી છે કે શોમાં દિશા વાકાણી વાપસી કરી શકે છે.
પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર દિશા વાકાણી આ વર્ષે દિવાળી સુધીમાં શોમાં વાપસી કરી શકે છે. ફેન્સ માટે આ ખુબ રાહતના સમાચાર છે. જો કે હજુ સુધી મેકર્સ દ્વારા આ રિપોર્ટ્સ વિશે કોઈ પુષ્ટિ થઈ નથી.
શોમાં જોવા મળી રહ્યો છે આ ટ્રેક
શોના લેટેસ્ટ પ્લોટની વાત કરીએ તો જેઠાલાલ દયાબેનને ખુબ મિસ કરી રહ્યા છે. તેઓ દયાબેનને પાછા ગોકુલધામમાં જોવા માંગે છે. જેઠાલાલે દયાબેનની વાપસી અંગે જીદ પકડી છે. જેના પર સુંદરે જાહેરાત કરી છે કે દયા જલ્દી જ ગોકુલધામમાં જોવા મળશે.