News Inside,
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાની ફતેપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકો રૂમમાં અભ્યાસ કરતા હતા. શાળાના શિક્ષકોએ રૂમ લોક કરી ઘરે જતા રહ્યા હતા. બાળકોના રોકકળનો અવાજ આવતા અફડાતફડી મચી ગઈ હતી. એક બે નહિ પરંતુ 20 બાળકો કલાકોથી શાળામાં બંધ હોવાના કારણે રોકકળ સાથે આક્રાંદ કરતા બાળકોના વાલીઓ શાળાએ પોહ્ચ્યા હતા. શાળામાં કેદ બાળકોને જોઈ વાલીઓ આક્રોશમાં આવી શાળાના ગેટના તાળા તોડી માસૂમોને બહાર નીકાળવામાં આવ્યા હતા.
ગભરાયેલા બાળકોનો રડવાનો અવાજ આસપાસના લોકોને સંભળાયો
સમગ્ર ઘટનાની હકીકત મુજબ માહિતી મળતા જાણવા મળેલું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાતળી તાલુકામાં આવેલી પ્રાથમિક શાળામાં આજે શનિવાર હોવાના કારણે શાળાનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો હતો. શિક્ષકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા 20 થી વધુ નાના માસુમ બાળકોને શાળામાં બંધ કરી ઘરે જતા રહ્યાં હતા. શિક્ષકોની બેદરકારીના કારણે શાળામાં બાળકો ફસાઈ ગયા હતા. માસુમોનો રડવાનો અવાજ આસપાસમાં આવેલા ખેતરોમાં કામ કરતા લોકોને સંભળાયો હતો.
વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો
શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જેમાં બાળકો રોકકળ કરતા મમ્મી…પપ્પા… મમ્મી…પપ્પા… કરીને અને રોતા જોવા મળે છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓએ શાળાનો ગેટ તોડી નાખ્યો હતો અને બાળકોને બહાર કાઢ્યા હતા. આ બનાવમાં શાળામાં બંધ થઇ ગયેલા તમામ 21 બાળકો પહેલા ધોરણમા અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના અંદાજે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે.
ડરી ગયેલા બાળકો સંડાશ-પેસાબ કરી ગયા
શિક્ષકો શાળામાં બંધ કરીને જતા રહેતાં ડરી ગયેલા નિર્દોષ બાળકો સંડાશ અને પેસાબ પણ કરી ગયા હતા. આ બાળકોના વાલીઓએ શાળામાં દોડી જઈ શિક્ષકોનો રીતસરનો ઉધડો લઈ હલ્લાબોલ કર્યો હતો. બાદમાં ગામના આગેવાનો દોડી આવતા સમજાવટના અંતે દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ મામલો થાળે પડ્યો હતો.
તાલુકા શિક્ષણાધિકારીએ શું કહ્યું?
આ અંગે તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં મે આ બનાવની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, ફત્તેપુર ગામમાં કોઈ તિથિ ભોજન હતુ. જેમાં બાળકો ત્યાં ભોજન માટે ગયા હતા. એટલે શાળાના શિક્ષકો જ્યારે સ્કૂલમાં આવ્યા ત્યારે એમને થયું કે બધા બાળકો ઘેર જતા રહ્યાં છે. એટલે એ લોકો બહારની જાળી લોક કરીને નીકળી ગયા હતા. બાદમાં એમણે બાળકો શાળામાં બંધ થયાનું ધ્યાનમા આવતા તેઓ તરત જ પાછા સ્કૂલમા આવીને દરવાજો ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા. હાલ મે આ બાબતે શાળાના આચાર્ય ગોવિંદભાઇને બોલાવી એમનો ખુલાસો લેવાની સાથે નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે.