મુંબઈ, તા 28 મુંબઈ નજીક ભાયંદરની ઝૂંપડપટ્ટીમાં બુધવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં અનેક લોકો દાઝી ગયા છે. મળતી માહિતી મુજબ ભાયંદર પૂર્વમાં આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા 20 ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી.પરંતુ અનેક લોકો દાઝયા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને નજરે જોનાર લોકો નું કહેવું છે ભાયંદર પૂર્વની ઝૂંપડપટ્ટીમાંથી જ્વાળાઓ અને ધુમાડો દેખાઈ રહ્યો હતો. જે ખૂબ ભયંકર નજારો હતો.આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ આગ બુઝાવવા પ્રયાસ કરી રહી છે. લોકોના સામાનને ભારે નુકસાન થવાની આશંકા છે. આ અકસ્માતમાં અનેક ઝૂંપડપટ્ટીઓ બળીને રાખ થઈ ગઈ હતી. આજે સવારે 6 વાગ્યાના સુમારે ભંગારના ગોદામમાં અચાનક લાગેલી આગથી સ્થાનિક નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
આગમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ આગ કેવી રીતે લાગી તે જાણવા માટે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ભાયંદર પૂર્વમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પ્રશાસન પાસેથી વળતરની માંગ કરી રહ્યા છે તેમના આવાસ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.