જલારામ બાપા પર વિવાદાસ્પદ ટિપ્પણી: રઘુવંશી સમાજની પોલીસ ફરિયાદ

by Bansari Bhavsar

અમદાવાદ: સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજ દ્વારા માફી માગવામાં આવી હતી. જોકે, તેમણે આ ટિપ્પણી એક પુસ્તકમાં વાંચી હોવાનું અને તે પ્રસંગ ગમ્યો હોવાથી લોકોને સંભળાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાથી રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રઘુવંશી સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજો જલારામ બાપા સહિત અનેક દેવી-દેવતાઓ વિશે ખોટી વાતો ફેલાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાવે છે. આથી, ખોટા ઇતિહાસ દર્શાવતા અને લોકોને ગેરમાર્ગે દોરતા તમામ પુસ્તકોનો નાશ કરવાની અને આવા પુસ્તકોનું નવું પ્રકાશન અટકાવવાની માગણી કરવામાં આવી હતી.

આ મામલે રઘુવંશી સમાજના અગ્રણીઓએ અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં, ધાર્મિક લાગણી દુભાવવાના અને ખોટી માહિતી ફેલાવવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

રઘુવંશી સમાજના અગ્રણીઓએ સરકારને પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ધાર્મિક ભાવનાઓનું સન્માન જળવાવું જોઈએ અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ.

 

Related Posts