અમદાવાદ: ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઓઢવ રીંગ રોડ વેપારી મહામંડળ પાસેના રોડ પરથી એક કારને અટકાવીને તપાસ કરતાં અંદાજે રૂ. 45 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં 29 કિલો 740 ગ્રામ ચાંદી, બે મોબાઇલ ફોન, રોકડ રકમ અને એક ક્રિયા સેલટોસ કારનો સમાવેશ થાય છે. આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ માણેકચોક ખાતે આવેલ પાટીદાર જ્વેલર્સના માલિક કરણભાઈ અશ્વિનભાઈ પટેલ પાસેથી ચાંદીનો જથ્થો લઈને મધ્યપ્રદેશના રાણાપુર ખાતે આશિષભાઈ ગોવિંદલાલ સોનીને આપવા જઈ રહ્યા હતા. આરોપીઓએ કારમાં ડ્રાઈવર સીટની બાજુની સીટ નીચે એક ગુપ્ત ખાનું બનાવ્યું હતું, જેમાં બિલ કે અન્ય કોઈ આધાર પુરાવા વગર ચાંદીનો જથ્થો છુપાવ્યો હતો.
પોલીસને શંકા:
પોલીસે જ્યારે આરોપીઓની પૂછપરછ કરી ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ઉપરાંત, તેઓ ચાંદીના જથ્થાનું બિલ પણ રજૂ કરી શક્યા ન હતા. જેના કારણે પોલીસને શંકા ગઈ કે આ જથ્થો ચોરી અથવા છેતરપિંડીથી મેળવવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીઓ:
* અબ્દુલ વહીદ ઉર્ફે ભુરૂ (ઉં.વ. 36, રહે. મધ્યપ્રદેશ)
* ભાવેશભાઈ ભૂપેન્દ્રભાઈ સોની (ઉં.વ. 47, રહે. મહેમદાવાદ, ખેડા)
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ચાંદીની ચોરી મામલે હજુ વધુ ખુલાસાઓ આવવાની શક્યતા છે..
#newsinside #gujarat #gujaratinews #news #latestnews #ahmedabad #india #today #top #ahmedabadnews #silver #smuggling #ahmedabadpolice #pcb #odhav #manekchowk #zaveri