અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપ: સરકારી અધિકારી અને નિવૃત્ત પ્રોફેસર લાંચમાં પકડાયા

રૂ. ૩૦ લાખની લાંચ માંગવાના કેસમાં રૂ. ૧૫ લાખ લેતા બે ઝડપાયા

by Bansari Bhavsar

અમદાવાદ: રાજ્યના આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ આજે એક સફળ ટ્રેપીંગ ઓપરેશનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ (તપાસ) દિનેશભાઈ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજ, અસારવાના નિવૃત્ત ડીન ગિરીશભાઈ જેઠાલાલ પારમારને રૂ. ૧૫ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદી જ્યારે ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે કાર્યરત હતા ત્યારે તેમણે આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ અંગે પગલાં લીધા હતા. આ કાર્યવાહીના પગલે ફરિયાદી સામે ખંડણીની ફરિયાદ આરોગ્ય કમિશનરને કરવામાં આવી હતી, જેના પરિણામે ફરિયાદી અને તેમના એક સહયોગી ડોક્ટરને ફરજ મોકૂફી પર મુકાયા હતા અને વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસનો અહેવાલ જાન્યુઆરી ૨૦૨૫માં રજૂ કરવામાં આવ્યો હતો.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ દરમિયાન વચેટીયા તરીકે કાર્ય કરતા આરોપી નંબર-૨ ગિરીશભાઈ પારમારે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમની તેમજ તેમના સહયોગી ડોક્ટર વિરુદ્ધ ચાલી રહેલી પ્રાથમિક તપાસમાં મદદ કરવાના બદલામાં રૂ. ૩૦ લાખની લાંચની માંગણી કરી હતી. આ સોદામાં રૂ. ૧૫ લાખ એડવાન્સ અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું.

આરોપી ગિરીશભાઈ વારંવાર ફરિયાદીને ફોન કરીને લાંચની રકમની માંગણી કરી રહ્યા હતા. લાંચ આપવા ઈચ્છા ન ધરાવતા ફરિયાદીએ આખરે એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ફરિયાદના આધારે એસીબીએ આજે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આરોપી ગિરીશભાઈએ ફરિયાદીને શાહીબાગ સ્થિત પોતાના ઘરે લાંચની રકમ સાથે બોલાવ્યા હતા. ફરિયાદી જ્યારે રૂ. ૧૫ લાખની લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે આરોપી ગિરીશભાઈએ તે સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ ઘટના સ્થળેથી લાંચની રકમ પણ કબજે કરી છે.

આ સફળ ઓપરેશનનું નેતૃત્વ પો.ઇન્સ. એસ.એન.બારોટ (એસીબી ફિલ્ડ-૩, ઇન્ટેલિજન્સ) દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પો.ઇન્સ. એ.કે.ચૌહાણ (એસીબી ફિલ્ડ-૧)એ મદદ કરી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન મદદનીશ નિયામક એ.વી.પટેલ (એસીબી ફિલ્ડ-૩, ઇન્ટેલિજન્સ) દ્વારા કરવામાં આવ્યું હતું.

એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના રાજ્યના સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારને નાથવા માટે એસીબીની સતત કાર્યવાહીનું ઉદાહરણ છે.

Related Posts