અમદાવાદ, ૯ એપ્રિલ: આજે વહેલી સવારે રાણીપ વિસ્તારમાં ચિમનભાઈ બ્રિજ નજીક એક આઘાતજનક લૂંટની ઘટના બની હતી. બે અજાણ્યા શખ્સોએ એક રિક્ષાને અટકાવીને તેમાંથી ૧૩ લાખ રૂપિયાથી વધુના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદી રમેશકુમાર ઘેવરચંદ બોકડીયા અને તેમનો પરિવાર કાલુપુર રેલ્વે સ્ટેશનથી રિક્ષામાં તેમના ઘરે જઈ રહ્યા હતા. સવારે લગભગ ૫ વાગ્યે રિક્ષા ચિમનભાઈ બ્રિજ પાસે પહોંચી ત્યારે બે એક્ટિવા સવાર શખ્સોએ રિક્ષાને ઓવરટેક કરીને તેમના પત્નીના ખોળામાંથી કિંમતી સામાન ઝૂંટવી લીધો હતો.
લૂંટારુઓ સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત ૧૩,૫૬,૮૪૬ રૂપિયાનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે વિશેષ તપાસ ટુકડીની રચના કરવામાં આવી છે અને પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.