નારોલ લૂંટ કેસમાં ચોંકાવનારો વળાંક: ભોગ બનનારે જ રચ્યું હતું લૂંટનું નાટક

by Bansari Bhavsar

અમદાવાદ: તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રૂપિયા ૧૦ લાખની લૂંટની ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી દીધી હતી. જો કે, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગહન તપાસના અંતે આ કેસનો ચોંકાવનારો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લૂંટનો ભોગ બનનાર કિરણ કિર્તીભાઈ ચુનારા (ઉ.વ.૨૫) પોતે જ આ સમગ્ર લૂંટના કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. આર્થિક તંગી અને અંગત જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેણે રૂપિયા ૧૦ લાખ છુપાવીને લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ચાલાકીભરી યોજનાનો પર્દાફાશ કરી રૂપિયા ૧૦ લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

ગઇ તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ સાંજના ચાર વાગ્યાના સુમારે દેવ હોટલ ચાર રસ્તાથી વિશાલ બ્રિજ તરફ જતા શિવશક્તિ ઢાબા નજીક હાઇવે રોડ પર કિરણ ચુનારાએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી કે કાળા કલરની પલ્સર મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેની પાસેથી રૂપિયા ૧૦ લાખ ભરેલી બેગ લૂંટી લીધી હતી અને વિશાલા તરફ ભાગી ગયા હતા. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૫૨૫૦૪૨૨/૨૦૨૫ બી.એન.એસ.એકટ કલમ ૩૦૪(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

લૂંટની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી હતી. ઘટના સ્થળની મુલાકાત દરમિયાન ભોગ બનનાર કિરણ ચુનારાએ પોલીસને લૂંટની સમગ્ર ઘટના વર્ણવી હતી. તેણે જણાવ્યું હતું કે કાળા કલરના પલ્સર મોટર સાયકલ પર આવેલા બે ઇસમોએ સાંજના ચારેક વાગે તેની પાસેથી રૂપિયા ભરેલી બેગ આંચકી લીધી હતી. જો કે, પોલીસને શરૂઆતથી જ કેટલીક બાબતો શંકાસ્પદ લાગી રહી હતી.

પોલીસે કિરણ ચુનારાના મોબાઈલ ફોનની તપાસ કરતા જાણવા મળ્યું કે લૂંટની ઘટના બન્યા બાદ તરત જ તેણે તેના મેનેજર મહેશ સોલંકીને ફોન કરીને લૂંટની જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી, પરંતુ તેમાં કાળા કલરનું પલ્સર મોટર સાયકલ ક્યાંય જોવા મળ્યું ન હતું. આ બાબતે પોલીસને ભોગ બનનારની વાત પર વધુ શંકા ગઈ અને પ્રાથમિક તપાસમાં આ બનાવ ખોટો હોવાનું લાગ્યું હતું. ભોગ બનનારની ભૂમિકા શંકાસ્પદ જણાતા ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ કેન્દ્રિત કરી હતી.

આ કેસની વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચે કિરણભાઈ કિર્તીભાઈ ચુનારાને ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે બોલાવીને ઝીણવટભરી રીતે પૂછપરછ કરી હતી. પોલીસની સઘન પૂછપરછ સામે કિરણ ચુનારા લાંબો સમય સુધી ટકી શક્યો નહીં અને આખરે તેણે સમગ્ર હકીકત કબૂલી લીધી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તે પ્રહલાદનગર ખાતે તડેકોરીય ફર્નિચરના શો રૂમમાં છેલ્લા ૪ વર્ષથી નોકરી કરે છે અને શો-રૂમનું કેશ કલેક્શન કરવાનું કામ કરે છે. તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ તેણે ન્યુ કલોથ માર્કેટ તથા રખિયાલ ખાતેથી રૂપિયા ૧૦ લાખનું કલેક્શન કર્યું હતું. તેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને પત્ની પ્રેગનેટ હોવાથી તેને રૂપિયાની તાતી જરૂર હતી. આથી તેણે કલેક્શન દ્વારા મેળવેલા રૂપિયા ૧૦ લાખ છુપાવી દઈ લૂંટ થઈ હોવાની ખોટી વાત મેનેજરને જણાવી હતી.

પોલીસને વધુ માહિતી આપતા કિરણ ચુનારાએ જણાવ્યું કે તેણે રૂપિયા ૧૦ લાખ વિશાલાથી નારોલ તરફ જતા રોડ ઉપર આવેલ કોમલ ટેક્ષ્ટાઇલની બાજુમાં સાવધરીયા ફાર્મના ખુલ્લા મેદાનમાં છુપાવી દીધા હતા. આરોપી દ્વારા બતાવવામાં આવેલી જગ્યા પર પોલીસે તપાસ કરતા છુપાવેલા રૂપિયા ૧૦ લાખ રોકડા મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક આ રૂપિયા કબજે કર્યા હતા.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આરોપી કિરણ ચુનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને નારોલ પોલીસ સ્ટેશનના ગુનાના કામે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસની સતર્કતા અને કુશળ તપાસથી ગુનેગારો ગમે તેટલું આયોજન કરે તો પણ તેઓ કાયદાના હાથથી બચી શકતા નથી. આ કેસમાં ભોગ બનનારે જ ગુનેગાર બનીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે સત્ય બહાર લાવીને કાયદાનું શાસન જાળવી રાખ્યું છે.

Related Posts