અગ્નિશમન સેવા દિને શહીદોને શ્રદ્ધાંજલિ, અમદાવાદ ફાયર વિભાગના વર્ષ ૨૦૨૪-૨૫ના આંકડા જાહેર

by Bansari Bhavsar

૧૪ એપ્રિલ – ૧૯૪૪માં મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટકો ભરેલા જહાજમાં લાગેલી ભીષણ આગમાં જીવ ગુમાવનારા ફાયર બ્રિગેડના જવાનોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ ઘટનામાં ૬૬ જવાનોએ લોકોની સુરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા હતા. દર વર્ષે ૧૪ એપ્રિલે અગ્નિશમન સેવા દિન તરીકે મનાવવામાં આવે છે, જેમાં કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં જીવ ગુમાવનારા શહીદોને યાદ કરવામાં આવે છે.

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કરેલી કામગીરીના આંકડા જાહેર કર્યા છે. વિભાગે કુલ ૨૮૩૫ આગના કોલ એટેન્ડ કર્યા, જેમાંથી ૨૭૫૬ શહેરની હદમાં અને ૭૯ શહેરની બહારના વિસ્તારોમાંથી હતા. આગની ઘટનાઓમાં ૩૨ પુરુષો અને ૧૧ સ્ત્રીઓ દાઝી ગયા હતા, જ્યારે ૬ પુરુષોએ જીવ ગુમાવ્યા હતા.

આ ઉપરાંત, ફાયર વિભાગે ૩૬૦૬ બચાવ કોલ પણ એટેન્ડ કર્યા. જેમાંથી ૩૫૮૦ શહેરની હદમાં અને ૨૬ શહેરની બહારના વિસ્તારોમાંથી હતા. બચાવ કામગીરીમાં ૨૮૪ પુરુષો, ૧૫૦ સ્ત્રીઓ અને ૪૧ બાળકો સહિત કુલ ૪૮૫ લોકોને બચાવવામાં આવ્યા હતા. જો કે, ૧૫૮ પુરુષો, ૨૮ સ્ત્રીઓ અને ૧૦ બાળકો મળીને કુલ ૧૯૭ લોકોના મૃત્યુ થયા હતા. સાબરમતી નદીમાં બોટ દ્વારા ૨૦૦ બચાવ કોલ એટેન્ડ કરવામાં આવ્યા, જેમાં ૩૫ લોકોને બચાવાયા અને ૧૬૬ના મૃત્યુ થયા.

વિભાગે એમ્બ્યુલન્સ અને શબવાહિની સેવાઓ પણ પૂરી પાડી હતી. એમ્બ્યુલન્સ સેવાના ૧૭૨૮૨ કોલ અને શબવાહિની સેવાના ૨૮૨૮૪ કોલ એટેન્ડ કરવામાં આવ્યા હતા. આ સેવાઓ દ્વારા વિભાગને કુલ રૂ. ૨૦,૦૩,૨૦૧ની આવક થઈ હતી.

Related Posts