18,000થી વધુ વિદ્યાર્થીઓએ મેળવી પદવી, રાજ્યપાલશ્રીએ ગણાવ્યો વિદ્યાનો સાચો ઉદ્દેશ

સફળતા માટે માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરવી જરૂરી: રાજ્યપાલશ્રી

by Bansari Bhavsar

અમદાવાદ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસરે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દસમો વાર્ષિક દીક્ષાંત સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્ય અને ગરિમાપૂર્ણ રીતે યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે આત્મિક વિકાસ તરફ પણ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યોને યાદ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, તેઓ આઝાદીકાળના એક એવા મહાપુરુષ હતા જેમણે સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો અને નાતજાતના ભેદભાવ સામે મજબૂત આંદોલન ચલાવ્યું હતું. તેમનું હંમેશાં એવું ચિંતન રહ્યું હતું કે સમાજનો દરેક વ્યક્તિ સમાન રીતે પ્રગતિ કરે. જો આપણે સૌ એકતા અને સમરસતાની ભાવના સાથે આગળ વધીશું તો આપણો સમાજ અને દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી શકશે. તેમણે બાબાસાહેબની જન્મજયંતિને યાદ કરતાં તેમના વિચારોને સૌ કોઈ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.

વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, આજે તેઓ પોતાના પરિશ્રમ અને સમર્પણના ફળસ્વરૂપે આ ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે. માતા-પિતા, સમાજ અને રાષ્ટ્રને વિદ્યાર્થીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. જે યુવાન આ ત્રણેયની ભાવનાઓનું સન્માન કરે છે અને પોતાના શિક્ષણ તેમજ આવડતનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરે છે, તેને જ ખરેખર સફળ માનવામાં આવે છે. તેમણે ભારતીય વિદ્યા પરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “સા વિદ્યા યા વિમુક્તયે” એટલે કે સાચી વિદ્યા એ છે જે મુક્તિ તરફ દોરી જાય છે. આપણી ભારતીય વિદ્યા પરંપરાનું આ જ સર્વોચ્ચ ધ્યેય છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિમાં પરા (લૌકિક) અને અપરા (અલૌકિક) એમ બંને પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આત્મા, પરમાત્મા, સંસાર, સભ્યતા અને સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ શિક્ષણનો સાચો સાર છે. શારીરિક અને આત્મિક જીવન વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે કહ્યું હતું કે ભૌતિક સુખ-સુવિધાઓ જીવનનો ઉદ્દેશ્ય નથી, પરંતુ તે માત્ર સાધન છે. ભારતીય દર્શન ભૌતિક વિકાસનો વિરોધ કરતું નથી, પરંતુ ભૌતિક સુખને અંતિમ લક્ષ્ય પણ માનતું નથી. ભૌતિક સુખ તો આત્મિક વિકાસ માટેનું એક પગથિયું હોવું જોઈએ.

રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો ઉલ્લેખ કરીને યુવાનોને આ દિશામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે આહ્વાન કર્યું હતું.

‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને ઉજાગર કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, જ્યારે આપણું કુટુંબ મજબૂત હશે ત્યારે જ આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોઈ શકીશું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આ પરંપરાને વધુ મજબૂત બનાવીને એક શક્તિશાળી ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ દીક્ષાંત સમારોહને માત્ર એક ઔપચારિકતા ન ગણાવતા તેને સત્સંગ જેવી પવિત્રતા અને ઊંડાણ ધરાવતો કાર્યક્રમ ગણાવ્યો હતો. તેમણે મંચ પરથી અપાયેલા વક્તવ્યોને ભાષણ નહીં પરંતુ સંતોના પ્રવચન સમાન જ્ઞાનથી ભરપૂર અને આત્માને સ્પર્શી જાય તેવા ગણાવ્યા હતા.

રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય અને તેમની ટીમને છેલ્લાં વર્ષો દરમિયાન યુનિવર્સિટીએ મેળવેલી સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને યુનિવર્સિટીની પરિવારભાવનાથી આગળ વધવાની ભાવનાને ખાસ બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટી સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના દસમા વાર્ષિક પદવીદાન સમારોહમાં નાના બાળકોને આમંત્રિત કરવા એ એક સરાહનીય બાબત છે. આજે યુવાન વિદ્યાર્થીઓને પદવી મળતી જોઈને નાના બાળકોને પણ પ્રોત્સાહન મળશે.

મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જ્ઞાન અને માહિતી વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજાવતા કહ્યું હતું કે, શિક્ષણ દ્વારા જે પ્રાપ્ત થાય છે તે માહિતી છે, પરંતુ જ્યારે આ માહિતીનો ઉપયોગ સમાજ અને લોકોના કલ્યાણ માટે કરવામાં આવે છે ત્યારે તે જ્ઞાન બને છે.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ટેકનોલોજીના વિકાસની વાત કરતાં જણાવ્યું હતું કે, રેડિયોને લોકો સુધી પહોંચવામાં 15 વર્ષ લાગ્યા હતા, જ્યારે આજના ટેકનોલોજીના યુગમાં કોઈ પણ માહિતી ગણતરીના દિવસોમાં કરોડો લોકો સુધી પહોંચી શકે છે. આજે વિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ થયો છે. ડિગ્રી માત્ર આજીવિકા મેળવવા માટે જ નથી, પરંતુ તેનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે થવો જોઈએ.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સમયનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, જીવનમાં પ્રગતિ કરવા માટે સમયનો કોઈ બંધન ન રાખવું જોઈએ અને સતત પરિશ્રમ દ્વારા ધારેલા કાર્યોને સિદ્ધ કરી શકાય છે. તેમણે ઘડિયાળના ટકોરે કામ ન કરીને કોઈપણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સતત કાર્યરત રહેવાની સલાહ આપી હતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સૌ વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં પદવી પ્રાપ્ત કરી છે અને ભવિષ્યમાં તેઓ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત થશે, ત્યારે તેમણે પોતાની જવાબદારી સમજીને પરિવાર, સમાજ અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પમાં યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો.

રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ વિદ્યાર્થીઓએ મેળવેલા જ્ઞાનને જીવનનું પથદર્શક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુવા વિદ્યાર્થીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ હવે પોતાના યોગ-ક્ષેમ માટે આગળ વધવાનું છે. દેશને ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમની વૃત્તિ ધરાવતા નચિકેતા જેવા નવયુવાનોની જરૂર છે. તેમણે ગીતાના ઉપદેશને ટાંકીને જ્ઞાનની મહત્તા સમજાવી હતી.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ હજારો યુવાઓના શિક્ષિત બનવાના સ્વપ્નને સાકાર કર્યું છે. મંત્રીશ્રીએ ડિગ્રી પ્રાપ્ત કરવાની સાથે વિવેક, પ્રામાણિકતા અને મૂલ્યનિષ્ઠતા જેવા ગુણો કેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી.

યુ.જી.સી.ના પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર એમ. જગદેશ કુમારે જણાવ્યું હતું કે, એનઆઇઆરએફના ૨૦૨૪ના રેન્કિંગ અનુસાર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)એ ભારતમાં ઓપન યુનિવર્સિટીની શ્રેણીમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. ઓપન યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવું એ પરિપક્વતા, દ્રઢ નિશ્ચય અને ધગશનો માર્ગ છે. જેલના કેદી, ગૃહિણી, નોકરિયાત કે બિઝનેસમેન જેવા કોઈપણ પૃષ્ઠભૂમિમાંથી આવતી વ્યક્તિ ઓપન યુનિવર્સિટીમાંથી સમાન શિક્ષણ મેળવી શકે છે.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી ડૉ. અમીબેન ઉપાધ્યાયે યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક કાર્યો અને સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે યુનિવર્સિટી દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવનાર સમરસતા એવોર્ડની જાહેરાત પણ કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારોહમાં કુલ 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, 39 ગોલ્ડ મેડલ, 40 સિલ્વર મેડલ અને 42 સર્ટિફિકેટ સહિત કુલ 121 જેટલા પદકો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યપાલશ્રીના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ રિજનલ સેન્ટરને શ્રેષ્ઠ રિજનલ સેન્ટરનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના અધ્યાપકો, પદવી મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts