નારણપુરા: બીડી પીતા માનસિક અસ્વસ્થ વૃદ્ધ આગમાં હોમાયા, સારવાર દરમિયાન નિધન

માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધનું આગમાં દાઝી જવાથી મૃત્યુ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. સરદાર પટેલ કોલોની સ્થિત નાયકનગર સોસાયટીમાં રહેતા ૭૧ વર્ષીય નવીનચંદ્ર પોપટલાલ નાયક, જેઓ છેલ્લા બે દાયકાથી માનસિક સમસ્યાઓથી પીડિત હતા અને જેમની સારવાર ચાલી રહી હતી, તેમનું આગમાં દાઝી જવાથી કરુણ મૃત્યુ થયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના તારીખ ૦૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સાંજના સમયે બની હતી. નવીનચંદ્ર પોતાના ઘરે પથારીમાં બીડી પી રહ્યા હતા, ત્યારે અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

તત્કાલ તેમને સારવાર માટે શહેરની એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમની ગંભીર હાલતને કારણે સારવાર દરમિયાન તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સવારે ૮:૩૫ વાગ્યે તેમનું નિધન થયું હતું.

નારણપુરા પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પ્રો.મ.સ.ઈ. શ્રી સુરભીબહેન હિરેન્દ્રકુમાર દ્વારા કરવામાં આવી રહી છે. આ બનાવથી સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

 

Related Posts