ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વધારો તારીખ 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે તેમનું મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થશે.
તેવી જ રીતે, રાજ્ય સરકારના જે કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવી રહ્યા છે, તેમના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે 212 ટકા થશે.
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ મોંઘવારી ભથ્થાની ત્રણ માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક જ હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને આર્થિક રાહત મળશે અને તેમના ઉત્સાહમાં વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં આ સંવેદનશીલ નિર્ણય લીધો છે, જે કર્મચારી વર્ગમાં આનંદની લાગણી ફેલાવી ગયો છે.