વી.એસ. હોસ્પિટલમાં રિસર્ચ કૌભાંડનો ધડાકો: નવ ડોક્ટરો સસ્પેન્ડ, લાખોની ગેરરીતિઓ સામે આવી

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદની સરકારી વી.એસ. હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વંટોળમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓ સાથેના ક્લિનિકલ રિસર્ચમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં દર્દીઓની જાણ બહાર દવાઓના પરીક્ષણ કરવા અને ખોટા રિપોર્ટ્સ રજૂ કરીને લાખો રૂપિયાની ઉચાપત કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને નવ જેટલા ડોક્ટરોને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં ફાર્મેકોલોજી વિભાગના એસોસિયેટ પ્રોફેસર દેવાંગ રાણા મુખ્ય આરોપી તરીકે ઓળખાયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજિલન્સ વિભાગની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફાર્મા કંપનીઓ દ્વારા મોકલવામાં આવતી નવી દવાઓનું દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતું હતું, પરંતુ આ પ્રક્રિયામાં નિયમો અને નૈતિક ધોરણોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાયું છે. ડોક્ટરોએ ફાર્મા કંપનીઓ પાસેથી રિસર્ચના હકારાત્મક પરિણામો આપવા માટે લાખો રૂપિયાની લાંચ લીધી હોવાની પણ આશંકા છે. એટલું જ નહીં, ઘણા કિસ્સાઓમાં દર્દીઓને તેમના પર થઈ રહેલા રિસર્ચ અંગે પૂરતી માહિતી પણ આપવામાં આવી ન હતી અને તેમની સંમતિ પણ યોગ્ય રીતે લેવામાં આવી ન હતી, જે ગંભીર ગુનો છે.

સસ્પેન્ડ કરાયેલા નવ ડોક્ટરોમાં ડો. યાત્રી પટેલ (સાયકિયાટ્રિસ્ટ), ડો. ધૈવત શુક્લ (સ્કિન સ્પેશિયાલિસ્ટ), ડો. રોહન શાહ (ENT), ડો. કૃણાલ સથવારા (સર્જિકલ), ડો. શાલીન શાહ (ડાયાબિટિસ સ્પેશિયાલિસ્ટ) સહિત અન્યનો સમાવેશ થાય છે. હોસ્પિટલ સૂત્રોનું કહેવું છે કે આ તમામ ડોક્ટરો કોન્ટ્રાક્ટના આધારે ફરજ બજાવતા હતા અને તેમની સામે ગેરરીતિઓના પૂરતા પુરાવા મળ્યા બાદ જ સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ અને તબીબી આચારસંહિતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. હાલમાં પોલીસ અને વિજિલન્સ ટીમ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ફાર્મા કંપનીઓ સાથેના કરારો અને નાણાકીય લેવડદેવડની પણ તપાસ ચાલી રહી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે જો તટસ્થ તપાસ થાય તો આ કૌભાંડ વધુ મોટું હોઈ શકે છે અને ઘણા નવા ખુલાસાઓ પણ થઈ શકે છે.

આ કૌભાંડની સમાજ અને તબીબી ક્ષેત્ર પર ગંભીર અસર પડી છે. એક તરફ દર્દીઓનો સરકારી હોસ્પિટલો પરથી વિશ્વાસ ઉઠી શકે છે, તો બીજી તરફ તબીબી વ્યવસાયમાં નૈતિક મૂલ્યો જાળવવાની જરૂરિયાત વધુ પ્રબળ બની છે. ગુજરાતના આરોગ્ય વિભાગે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે વી.એસ. હોસ્પિટલમાં અગાઉ પણ નાણાકીય ગેરરીતિઓના કેસો સામે આવ્યા છે. ત્યારે આ નવા રિસર્ચ કૌભાંડે હોસ્પિટલની પ્રતિષ્ઠાને વધુ ધક્કો પહોંચાડ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તપાસમાં શું નવું બહાર આવે છે અને દોષિતો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

 

Related Posts