100
NCP માં બળવો કર્યા બાદ શરદ પવારના ભત્રીજા અને પાર્ટીના સિનીયર લીડર અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે હવે આવતીકાલનો દિવસ NCP ના બંને જૂથ વચ્ચે ખરાખરીનો જંગ સમાન બની રહે તેવા એંધાણ મળી રહ્યા છે કારણ કે બંને જૂથે આવતીકાલે જ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. કયા જૂથની બેઠકમાં સૌથી વધુ ધારાસભ્યો હાજર રહેશે તેના પર સહુની મીટ મંડાઇ છે.
શરદ પવારે પોતે જ જાતે ફોન કર્યા
એનસીપીના વડા શરદ પવારે પોતે જ જાતે ફોન કરીને આવતીકાલે મુંબઈમાં બોલાવવામાં આવેલી બેઠક માટે ધારાસભ્યોને બોલાવવાનું શરૂ કરી દીધું છે.
દંડકે ધારાસભ્યોને વ્હીપ આપ્યો
શરદ પવારના જૂથની આવતીકાલની બેઠક પહેલા, પાર્ટીના મુખ્ય દંડક જિતેન્દ્ર આવ્હાડે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 5 જુલાઈ, 2013ના રોજ બપોરે 1 વાગ્યે, વિધાનસભા NCPએ મુંબઈના યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં વિધાનસભાના તમામ સભ્યોની બેઠક બોલાવી છે. પક્ષનો આદેશ છે કે વિધાનસભાના તમામ સભ્યોએ હાજર રહેવું પડશે.
અજિત પવારે પણ આવતીકાલે જ પોતાની સાથેના ધારાસભ્યોની બેઠક બોલાવી
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પણ આવતીકાલે જ પોતાની સાથેના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આવતીકાલની આ બંને બેઠકો અહમ બની રહેશે કારણ કે બંને બેઠકોને બંને પવારના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રને એક મહિનામાં નવા સીએમ મળશે
બીજી તરફ શરદ પવારને મળ્યા બાદ શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે સંકટનો સમય ચાલી રહ્યો છે. શિવસેના અને એનસીપી બંને મુશ્કેલીમાં છે. MVA સાથે જ છે. તેઓ સતત રાહુલ ગાંધીના સંપર્કમાં છે. હું મારા શબ્દો પર અડગ છું. મહારાષ્ટ્રને એક મહિનામાં નવા સીએમ મળશે
અમે બધા સાથે મળીને મહારાષ્ટ્રની મુલાકાત લઈશું