લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે શુક્રવારે એટલે આજે પોતાનો ઘોષણાપત્ર જાહેર કર્યો છે. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં સોનિયા, રાહુલ, ખડગે અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પી. ચિદંબરમે 5 ન્યાય અને 25 ગેરંટીનું એલાન કર્યું છે. પાર્ટીના ઘોષણાપત્રમાં મજૂરોને દિવસના 400 રૂપિયા અને ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા આપવા અને MSPને કાયદો બનાવવાનો ઉલ્લેખ છે.
કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં યુવા, મહિલા, મજૂર અને ખેડૂતો પર ફોકસ કર્યું છે. આ બધા વર્ગો માટે વિવિધ પ્રકારની સ્કીમનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે તેમનો ઘોષણાપત્ર વર્ક, વેલ્થ અને વેલ્ફેર પર આધારિત છે. અહીં વર્ક એટલે રોજગાર, વેલ્થ એટલે આવક અને વેલફેર એટલે સરકારી સ્કીમના ફાયદા આપવાની વાત કહેવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીની અન્ય 4 મુખ્ય જાહેરાતો
- 1. વન નેશન વન ઇલેક્શનનો વિરોધ. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે.
- 2. મતદાન EVM દ્વારા થશે, પરંતુ VVPAT સ્લિપ મેચ કરવામાં આવશે.
- 3. 10મી અનુસૂચિમાં સુધારો કરવાનું વચન. આ હેઠળ, પક્ષપલટો પર વિધાનસભા અથવા સંસદની સદસ્યતા આપોઆપ રદ થઈ જશે.
- 4. પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ કાયદા મુજબ સખ્તાઈથી કામ કરશે. દરેક બાબતને સંસદ અથવા રાજ્ય વિધાનસભાની દેખરેખ હેઠળ લાવવામાં આવશે.