વાસણા સ્વામીનારાયણ મંદિરમાં ઠગાઈ કરનાર શખ્સ ઝડપાયો: ૬.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ:

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વાસણા વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ મંદિરમાં છેતરપિંડી કરી સોનાનો હાર અને બુટ્ટી લઈને ભાગી જનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ શખ્સ રાજ્યના વિવિધ સ્વામીનારાયણ મંદિરોને નિશાન બનાવતો હતો.

​ઘટનાની વિગત:

ગઈ તારીખ ૨૦/૧૨/૨૦૨૫ ના રોજ આરોપીએ ખોટું નામ ધારણ કરી વાસણા સ્વામીનારાયણ મંદિરના સ્વામીજીનો સંપર્ક કર્યો હતો. તેણે ફોન પર જણાવ્યું હતું કે, “મારી દીકરીને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું છે, તેથી મેં ભગવાનને ૫૧ ગ્રામ સોનું ચડાવવાનો સંકલ્પ કર્યો છે”. આ બહાના હેઠળ તેણે વિશ્વાસ કેળવ્યો અને મંદિરમાં રહેલ સોનાના બદલામાં ચેક આપવાની વાત કરી હતી.

​તારીખ ૨૧/૧૨/૨૦૨૫ ના રોજ મંદિરે આવીને તેણે સ્વામીજી પાસેથી ભગવાનનો સોનાનો હાર અને બુટ્ટી મેળવ્યા હતા. ત્યારબાદ, “હું પત્નીને આ હાર બતાવવા જઉં છું” તેમ કહી તે મંદિરના પરિસરમાંથી ભાગી છૂટ્યો હતો.

​પોલીસ કાર્યવાહી અને પકડાયેલ આરોપી:

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી શૈલેષભાઇ છગનભાઇ ઉંધાડ (રહે. ગોંડલ/જેતપુર) નામના ૪૩ વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે:

​સોનાનો હાર અને બુટ્ટી: જેની કિંમત અંદાજે રૂ. ૬,૨૭,૦૦૦ છે.

​મોબાઈલ અને એક્ટિવા: જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ છે.

​કુલ મુદ્દામાલ: રૂ. ૬,૪૭,૦૦૦.

​ગુનાહિત ઈતિહાસ:

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શૈલેષભાઇ ઉંધાડ અગાઉ પણ રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, ભુજ અને પોરબંદર જેવા શહેરોમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આ કેસમાં અન્ય એક આરોપી કલ્પેશ ઉર્ફે ભોડી વ્રજલાલ વોરાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

​આરોપીની ધરપકડ બાદ તેને વધુ કાર્યવાહી માટે વાસણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Posts