અમદાવાદ:
શહેરમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પાર્થ સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રાણીપના રાધાસ્વામી રોડ પર આવેલી પાર્થ સોસાયટીમાં રહેતા કુસુમબહેન કારેલીયા (ઉ.વ. ૬૨) તેમના ઘરેથી બહાર ગયા હતા. ગત તા. ૦૬/૦૩/૨૦૨૬ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી સાંજના ૫:૩૦ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરની લોખંડની જાળી અને મુખ્ય દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ બેડરૂમમાં રહેલી તિજોરીઓના લોક તોડી નાખ્યા હતા અને તેમાંથી સોનાના ચેઈન, બુટ્ટી, બ્રેસલેટ, ચાંદીના સિક્કા અને અન્ય કિંમતી દાગીના મળી કુલ રૂપિયા ૫,૭૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પો.ઈ.શ્રી કે.આઈ. વ્યાસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી અને ટેકનિકલ પુરાવાના આધારે તસ્કરોને પકડવાની કવાયત તેજ કરી છે.
ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની અને નાગરિકોને સુરક્ષા અંગે સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.