અમદાવાદ: ચાંદખેડા પોલીસ સ્ટેશનની ટીમે એક ચોરીનો કેસ ઉકેલીને આરોપીને પકડી પાડ્યો છે. આ કેસમાં હોટેલના મેનેજરે જ પોતાની હોટેલમાંથી ₹૭૫,૦૦૦ની ચોરી કરી હતી.
પોલીસને ફરિયાદ મળી હતી કે મોટેરા વિસ્તારમાં આવેલી “ઈટ પંજાબ” નામની હોટેલના મેનેજર જોધાવરસિંહ રાવતે ગ્રાહકોના પૈસા રાખવાના ગલ્લામાંથી ₹૭૫,૦૦૦ ચોરી લીધા હતા. ફરિયાદી ગુરવિન્દરસિંઘ ભગતાએ પોલીસને આ વાતની જાણ કરી હતી.
પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ, ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.જી. સોલંકી અને તેમની ટીમે તપાસ શરૂ કરી. મોટેરા પોલીસ ચોકીના સબ-ઈન્સપેક્ટર કે.ડી. પરમાર અને તેમની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી, ત્યારે તેમને ખાનગી બાતમી મળી કે ચોરી કરનાર જોધાવરસિંહ તપોવન સર્કલ પાસે હાજર છે.
પોલીસે તરત જ ત્યાં પહોંચીને જોધાવરસિંહને પકડી લીધો. પૂછપરછમાં તેણે ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસે તેની પાસેથી ચોરી કરેલા ₹૭૫,૦૦૦ પણ પાછા મેળવ્યા.
પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જોધાવરસિંહ કિશનસિંહ રાવત મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. પોલીસે આ ઝડપી કાર્યવાહીથી ફરીયાદીને ચોરાયેલા પૈસા પાછા મળ્યા છે.